![tharad canal](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/07/WhatsApp-Image-2020-07-01-at-8.07.56-AM.jpeg)
થરાદની નહેરમાંથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળતાં અરેરાટી
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં ઢીમા પુલપાસે બુધવારે એક અજાણ્યા યુવકનો મૃતદેહ નહેરમાં તરતો જણાઈ આવ્યો હતો. આથી રાહદારીઓ અને આજુબાજુના ખેડુતોએ આ અંગે થરાદ પોલીસ અને નગરપાલિકાને જાણ કરી હતી. આથી ફાયરવિભાગની ટીમે તાબડતોબ ઢીમા પુલ પાસેની નર્મદા નહેર પર દોડી આવીને યુવકનો મૃતદેહ નહેરમાંથી બહાર નીકળ્યો હતો. આ યુવક કઇ રીતે પડ્યો હશે તેને લઇને અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા. થરાદ સરકારી હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પેનલથી પીએમ કરાવવામાં આવ્યું હતું. આ બનાવને લઇને થરાદ શહેર અને પંથકમાં અરેરાટી સાથે ચકચારની લાગણી મચી જવા પામી હતી. જો કે યુવક કોણ હશે તે અંગેની કોઇ ચોક્કસ ઓળખ થવા પામી ન હતી. થરાદના જમડા ગામના ભરતભાઇ લક્ષ્મણભાઇ રાજપુતે આ અંગે થરાદ પોલીસ મથકમાં જાહેરાત આપતાં પોલીસે આછાપીળા રંગનું શર્ટ અને કાળા કલરનું પેંટ પહેરેલ અંદાજીત પચ્ચીસેક વર્ષીય યુવક અંગે અક્સ્માત મોત રજીસ્ટરે નોંધ કરી હતી. બનાવને લઇને અનેક તર્ક-વિતર્કો ચર્ચાસ્પદ બન્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદની નર્મદા નહેરમાં અપમૃત્યુના બનાવો દિનપ્રતિદીન વધવા પામ્યા છે. જેને લઇને પ્રજામાં ચિંતાની લાગણી પણ પ્રસરી રહી છે.