દાંતીવાડા ડેમ પાસે સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાકક્ષાના 74 માં વન મહોત્સવની ઉજવણી કરાઈ
બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમ પાસે આવેલ બનાસ બાગ ખાતે લોકસભા સાંસદ પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાના 74 મા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મેરી મિટ્ટી, મેરા દેશ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત હાથમાં માટી લઈ પંચ પ્રાણ પ્રતિજ્ઞા લીધી હતી.લોકસભા સાંસદ પરબતભાઇ પટેલે પ્રકૃતિના જતન અને સંવર્ધન પર ભાર મુકતા જણાવ્યું કે વૃક્ષ ઉછેર ખુબ માવજત માંગી લે છે ત્યારે આપણા બાળકની જેમ વૃક્ષ ઉછેરની પ્રવૃતિ કરી પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરીએ. પાણી, પર્યાવરણ અને માટી બચાવવા આપણે સંકલ્પબદ્ધ બનીએ. તેમણે કહ્યું કે વૃક્ષ વાવીએ તો વનનું નિર્માણ થાય છે જયારે વૃક્ષ કુદરતી રીતે ઉગે એને જંગલ કહેવાય છે. તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં આપણા વડવાઓ પ્રકૃતિની ખુબ કાળજી રાખતા હતા એટલે વૃક્ષ વાવવાની જરૂર જ પડતી નહોતી જયારે આજે આડેધડ વૃક્ષોનું નિકંદન અને નદીઓના પૂરણને લીધે નદીઓના પ્રવાહ પણ બદલાઈ ગયા છે ત્યારે પ્રકૃતિનું જતન કરવું આવનારી પેઢીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખુબ જરૂરી છે. સામાજિક વનીકરણ વધારવા આપણા ગુજરાતની ધરતીના સપૂત ક. મા. મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરાવી હતી. બનાસકાંઠા જિલ્લામાં 19 ખાતાકીય નર્સરી સહિત વિવિધ નર્સરીઓમાં 66 લાખ જેટલાં રોપાઓ ઉછેરવામાં આવ્યા છે. ખેડૂતોની જમીનમાં વૃક્ષો વાવવા વૃક્ષ ખેતી યોજના અમલી છે એનો લાભ લેવા તેમણે ખેડૂતોને અનુરોધ કર્યો હતો વન વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વન વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરાયું હતું. જિલ્લામાં 3.50 લાખ કરતા વધારે રોપાઓનું વાવેતર કરનાર vssm સંસ્થાના જિલ્લા સંયોજક નારણભાઇ રાવળનું પ્રમાણપત્ર આપીને સન્માન કરાયું હતું. મહાનુભાવોના હસ્તે મફત રોપા વિતરણ વાહનનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.