![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/05/c12d77eb-05bf-484d-9be0-1fb26c91dd63.jpg)
થરાદના આંગણવાડી કેન્દ્રમાં તસ્કરો ત્રાટક્યા
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ નગરમાં જુના ગંજબજારમાં કન્યાશાળા પાછળના ભાગમાં સેદલાઈ વિસ્તારમાં જવાના માર્ગે ભણશાળી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નંદઘર-૧૨ આવેલું છે. જેમાં સંચાલિકા તરીકે સર્વોદય સોસાયટીમાં રહેતા વિમળાબેન ત્રિવેદી છેલ્લા ૨૫ વર્ષથી ફરજ બજાવે છે. મંગળવારે સવારે વૃક્ષોને પાણી પીવડાવવા માટે વિમળાબેન આંગણવાડીમાં આવીને તાળું ખોલીને તપાસ કરતા તેમાંથી એક ગેસનો ભરેલો બાટલો, એક એલઇડી અને એક પંખાની ચોરી થવા પામી હોવાનું માલુમ પડ્યું હતું. આથી આ અંગે તેમણે ભણસાલી ટ્રસ્ટના સુપરવાઇઝર અને સી.ડી.પી.ઓ.ને મૌખિક જાણ કરતાં તેમણે થરાદ પોલીસ મથકમાં ફરિયાદ કરવાની સુચના આપી હતી. આથી વિમળાબેને અજાણ્યા શખ્સ સામે આંગણવાડી કેન્દ્રનું તાળું ખોલી તેમાંથી ચોરી કર્યાની લેખિત ફરિયાદ આપી હતી. આ બનાવને લઇને ચકચાર પ્રસરી જવા પામી હતી. આ અંગે થરાદના પી.આઈ. જે.બી.ચૌધરીએ વધુ તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ભુતકાળમાં પણ નગરની અન્ય બે થી ત્રણ આંગણવાડી કેન્દ્રોમાં પણ આ જ પ્રકારે ચોરીઓ કરવામાં આવી હોવાનું ભણસાલી ટ્રસ્ટના સુપરવાઇઝર અવંતિકાબેને જણાવ્યું હતું.