હડતાળીયા તલાટીઓની કામગીરીથી શિક્ષકોને દૂર રહેવા ફરમાન
રાજ્યભરમાં તલાટીઓ હડતાલ પર ઉતરતા પંચાયત સેવાઓ ઠપ થઈ જવા પામી છે જ્યારે ગામડાઓમાં ચાલતી ગ્રામસભાની કામગીરી પણ બંધ થઈ ગઈ છે. જાે કે સરકારે ગ્રામસભાની કામગીરી શિક્ષકો પર થોપી દેતા શિક્ષક સંઘ પણ લાલઘુમ થયો છે અને પ્રાથમિક શિક્ષકોને ગ્રામસભાની કામગીરી ન કરવા આદેશ કર્યો છે. પોતાની પડતર માંગણીઓને લઈને રાજ્યભરના તલાટી કમ મંત્રીઓએ હડતાલનો માર્ગ અખત્યાર કર્યો છે. જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે. અને શિક્ષકો ને હડતાલિયા તલાટીઓની કામગીરીથી દૂર રહેવાનું ફરમાન જાહેર કર્યું છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંજયભાઈ દવે અને મહામંત્રી પ્રાગજીભાઈ પટેલે એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ૨જી ઓગસ્ટથી તલાટી કમ મંત્રીઓ અનિશ્ચિત મુદતની હડતાળ પર છે. ત્યારે તલાટી કમ મંત્રીના ભાગની કામગીરી તેમજ બાકી ગ્રામસભાઓ વગેરે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની પ્રાથમિક શાળાના આચાર્ય અને પ્રાથમિક શિક્ષકો દ્વારા ગ્રામસભા ઓ યોજવાના અને બાકી કામગીરી કરવાના પત્રો ટીડીઓ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે તલાટીઓની હડતાળને બનાસકાંઠા પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો આપેલ હોઈ તેમજ ગ્રામસભાએ શિક્ષકોની કામગીરી ન હોવા ઉપરાંત તે રાષ્ટ્રીય કામગીરી પણ નથી. ત્યારે બનાસકાંઠા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકોને ગ્રામસભાની કામગીરીથી દૂર રહેવાનો આદેશ કરાયો હોવાનું પ્રમુખ સંજય દવે એ જણાવ્યું હતું.