![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/10/01-9.jpg)
તંત્ર ફફડ્યુ : રાહ જેતડા વચ્ચેના અધુરા રોડની કામગીરી શરૂ કરાઇ
રખેવાળ ન્યુઝ થરાદ
ત્રણ વર્ષથી અધુરી પડેલી થરાદના રાહ અને જેતડા વચ્ચેની રોડની કામગીરી અંગે વારંવાર રજુઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં નહી ભરાતાં થરાદના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરી ૧૫ દિવસમાં કામગીરી શરૂ કરીને સત્વરે પુર્ણ નહી કરાયતો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. જેને પગલે ફફડેલા તંત્ર દ્વારા મંગળવારે કામગીરી હાથ ધરાતાં પ્રજાજનોમાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી. અત્રે ઉલ્લેખનીયછેકે ગોકળગાયની ગતીએ ચાલતા આ રોડની કામગીરીથી ૩૨ ગામોના લોકો ભારે હાલાકીઓ ભોગવી રહ્યા છે.
ગત ૨ ઓક્ટોબરે થરાદના ધારાસભ્ય ગુલાબસીંહ રાજપુતે રાહ જેતડાના અધુરા પડેલા રોડનું કામ સત્વરે ચાલુ કરાવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલને પત્ર દ્વારા રજુઆત કરી હતી. જેમાં જણાવ્યું હતું કે સ્ડ્ઢઇ૨ ના ૨૦.૫૦૦ કિ.મી લંબાઇ ધરાવતા રોડને મજબુત કરવા અને વાઇન્ડીંગ કરવા માટેની કામગીરી મંજુર થઈ હતી. જે કામ પુરું કરવાની મુદત વર્ષ ૨૦૧૭ ના અંત સુધી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે વાઇન્ડીંગની સામાન્ય કામગીરી કરી છોડી દીધી હતી. ત્યારથી આ રસ્તા પર અવરજવર કરતા લગભગ ૩૨ ગામના લોકો તેમજ એસ.ટી બસ અને મોટા વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
આ અંગે અવારનવાર રજુઆતો કરવા છતાં પણ કોઇ પગલાં નહી ભરાતાં હવે જો ૧૫ દિવસમાં આ રાહ જેતડા રોડની કામ ચાલુ કરવામાં નહીં આવે તો સરકાર સામે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આથી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. અને મંગળવારથી જ આ રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે ને લઇને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરવા પામી હતી.