બનાસ ડેરીના સ્વ. ગલબાભાઈ પટેલની 51મી પૂણ્યતિથિ નિમિતે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ
એશિયાની સૌથી મોટી સહકારી ક્ષેત્રમાં સૌથી વધુ દૂધ સંપાદન કરતી બનાસડેરીના આદ્યસ્થાપક અને સહકાર પુરુષ સ્વ. ગલબાકાકાની 51મી પુણ્યતિથિ નિમિત્તે બનાસ મેડીકલ કોલેજ અને જનરલ સિવિલ હોસ્પિટલ પાલનપુર ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં સંસ્થાના ચેરમેન પી.જે.ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં અધિકારીઓ, કર્મચારીઓ અને ડોક્ટરો નર્સિગ સ્ટાફ ઉપસ્થિત રહીને પુષ્પાંજલિ અર્પી હતી.
આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડો.સુનિલભાઈ જોષી એ જણાવ્યું હતું કે બીજા લોકો માટે જીવન જીવે તેનો આત્મા અમર થઇ જાય છે, બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વ. ગલબાભાઈ નાનજીભાઈ પટેલે ખેડૂતોની નિ:સ્વાર્થ ભાવે સેવા કરી હતી. તેથી તેઓ યુગો યુગ સુધી અમર રહેશે. તેઓ હંમેશા માટે ગરીબ લોકોને મદદરૂપ થયા હતા અને બીજા લોકો માટે ત્યાગ ભાવનાથી ભરેલું જીવન જીવ્યા હતા. ગલબાકાકા કરુણાના પ્રતીક હતા. વિધવા બહેનો સ્વાભિમાનથી જીવન જીવી શકે તે માટે બનાસ ડેરી મુખ્ય આધાર બની રહી છે, તેના થકી અસંખ્ય લોકોને રોજગારી પણ મળી છે. એવો સંકલ્પ કરીએ કે આપણે એવું જીવન જીવીએ કે બીજા લોકો યાદ કરે.બનાસ મેડીકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીએ જણાવ્યું કે આપણા વિઝનરી બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના અથાક પ્રયત્નો થકી બનાસડેરીનું નામ દેશ અને દુનિયામાં નામ ગુજતું થયું છે. આપણા દીર્ઘદ્રષ્ટા પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોની ચિંતા કરી ઘર આંગણે ની:શુલ્ક આરોગ્ય સેવા તેમજ પશુપાલકોના દીકરા દીકરીઓ ડોકટરી ડીગ્રી મળી શકે તેવા હેતુસર બનાસ મેડીકલ અને જનરલ સિવિલ હોસ્પિટલ શરુ કરી આજે લાખો લોકોને ની: શુલ્ક સારવાર મળી રહે છે.