![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/Rakhewal-228.jpg)
થરાદમાં આજે ભાજપમાંથી શંકરભાઈ ચૌધરી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે
(રખેવાળ ન્યૂઝ)થરાદ, બનાસકાંઠા જિલ્લાના થરાદ વિધાનસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યના પૂર્વ મંત્રી અને વાવના ધારાસભ્ય તથા બનાસબેંકના ચેરમેન શંકરભાઈ ચૌધરી પર પસંદગીની કળશ ઢોળવામાં આવ્યો છે. જેમને પટેલ સહિત વિવિધ સમાજોનું જોરદાર સમર્થન પણ મળી રહ્યું છે. સહકારી માળખાના પીઢ અગ્રણી અને થરાદ બેઠક પર સૌથી વધારે વખત જંગી બહુમતીથી જીત મેળવનારા એવા બનાસકાંઠાના વર્તમાન સાંસદ પરબતભાઈ પટેલના નેતૃત્વમાં શંકરભાઈ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.
તેઓ સોમવારે સવારે વિજય મુહર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે. તે પૂર્વે ગાયત્રી વિદ્યાલયમાં જન આશીર્વાદ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં બહોળી સંખ્યામાં પ્રજાજનોને ઉપસ્થિત રહેવાની અપીલ પણ કરવામાં આવી છે. થરાદ બેઠક પર શંકરભાઈ ચૌધરીના નામની જાહેરાત થતા જ અઢારેય આલમમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી છે. તેમને જંગી બહુમતીથી જીતાડવા પ્રજાજનોમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે.
દરબાર સમાજ દ્વારા શંકરભાઈ ચૌધરીને સમર્થન જાહેર કરાયું
થરાદમાં આજે દરબાર સમાજની જાહેર સભા યોજાઈ હતી. જેમાં કરણસિંહ ચૌહાણ, અર્જુનસિંહ વાઘેલા સહીત દરબાર સમાજના અગ્રણીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજ દ્વારા શંકરભાઈ ચૌધરીને જાહેર સમર્થન કરવામાં આવ્યું હતું.
થરાદ ધબકતું છે એને ધમધમતું કરવું છે : શંકરભાઈ ચૌધરી
શંકરભાઈ ચૌધરીએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે આપણું થરાદ હવે નાનું નથી રહ્યું તેને પાલનપુર, ડીસાની હરોળમાં લઈ જવું છે.પરબતભાઈ પટેલે એજ્યુકેશન ક્ષેત્રે ઘણા વિકાસ કામો કર્યા છે અને બાકીના તેમને કરવા છે. પંથકના
વિદ્યાર્થીઓને અમદાવાદ, ગાંધીનગર અભ્યાસ કરવા ન જવું પડે તેવા પ્રકારનું શૈક્ષણિક હબ થરાદને બનાવવું છે. જીઆઇડીસી વેપારધંધા ઉદ્યોગો વિકસાવવા છે. રોજગારીની તકો ઉપલબ્ધ કરાવીને થરાદ ધબકતું છે એને ધમધમતું કરવું છે.