![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/05-24.jpg)
થરાદમાં ભારતમાલા રોડ ઉપર આખલા રખડતાં હોઈ અકસ્માતનું થવાનું જોખમ
ભારતમાલા સિક્સલેન હાઇવે પર પશુ ન આવી જાય તે માટે ફેન્સીંગ કરવામાં આવી છે પરંતુ તેના પર પશુઓનો અડીંગો જોવા મળતાં આ હાઇવે પર અવર-જવર કરતા મુસાફરોની સલામતી માટે ઓથોરીટીની બેદરકારી સામે આવી છે. થરાદથી સાંચોર વચ્ચેના ભારતમાલા રોડ પર પશુઓના કારણે કોઇ અપ્રિય દુર્ઘટના સર્જાય તે પૂર્વે તંત્ર દ્વારા ફેન્સીંગની વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.
પીલુડા ગામની સીમમાં હાઇવે પર આખલાનો અડીંગો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે લોકો ઝડપથી મુસાફરી કરી શકે તે માટે ભારતમાલાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને મહત્તમ 100ની ગતિમર્યાદા ધરાવતા આ હાઇવે પર કોઇપણ પશુ ગંભીર દુર્ઘટના સર્જાવાનું કારણ બની શકે તેમ છે. ઉલ્લેખનીય છેકે આવા મેગા હાઇવે પર પશુઓ આવી ન જાય તે માટે વિશેષ પ્રકારે ફેન્સીંગ કરવામાં આવે છે. જેને કારણે અક્સ્માતની દહેશત સહિત મુસાફરોની મુશ્કેલીમાં ઘટાડો કરી શકાય. પરંતુ અહીંયા ફેન્સીંગની જાળવણીમાં હાઇવે ઓથોરીટીની બેદરકારી સામે આવી હતી.આ અંગે સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહિ આવે તો ગંભીર અકસ્માતની ઘટના બની શકે છે તેવી દહેશત છે.