પાલનપુર ગઠામણ પાટીયા પાસે વરસાદી પાણીનો નિકાલ ન થતાં રહીશોએ આંદોલનની ચીમકી આપી
પાલનપુર અમદાવાદ હાઈવેને સિક્સલેન બનાવ્યા પછી પાલનપુર ગઠામણ પાટિયા વિસ્તારમાં બે વર્ષ બાદ પણ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. આથી વાજ આવી ગયેલા સ્થાનિક રહીશોએ આંદોલની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે અક્ષતમ ત્રણ સોસાયટીમાં રહેતા વસંતભાઈ મોઢે જણાવ્યું હતું કે, આ વર્ષે પણ આ પ્રશ્ન અધ્ધરતાલ છે. ગઠામણ પાટિયા તરફ 50થી વધુ મોટી મોટી સોસાયટીઓ, બે સ્કૂલો અને 25 થી વધુ મોટા ગામો આવેલા છે. રોજિંદા માણસોની અને વાહનોની અવર-જવર ઘણી છે. જિલ્લા કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરી હતી. ડિઝાસ્ટર અધિકારીએ નગરપાલિકાને આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે લેખિત પત્ર પણ લખ્યો હતો. પરંતુ તંત્ર તેને ઘોળીને પી ગયું હોવાથી રહિશો પાસે હવે આંદોલન કરવા સિવાય બીજો કોઇ ઉપાય બાકી રહ્યો નથી.પાલનપુરમાં વિવિધ સ્થળે ભરાતા પાણીના નિકાલ માટે 50 કામો એજન્ડામાં લેવામાં આવ્યા છે. જેમાં ગઠામણ પાટીયાનું કામ રૂપિયા દોઢ કરોડના ખર્ચે કરવામાં આવશે. સૈધ્ધાંતિક- તાંત્રિક મંજુરીની પ્રક્રિયા ચાલી રહી છે.