પાલનપુરમાં વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે લાલ આંખ
રખેવાળ ન્યુઝ પાલનપુર : ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાય વેરો ન ભરનારા વેપારીઓ સામે તવાઈ હાથ ધરવામાં આવી છે. ત્યારે પાલિકા દ્વારા ૫૦ વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં નિયત સમયમાં વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા વ્યવસાયવેરો ભરપાઇ ન કરનારા વેપારીઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. આ અંગે વ્યવસાયવેરા અધિકારી કમલેશભાઇ દ્રિવેદીએ જણાવ્યું હતુ કે, વર્તમાન સમયે પાલિકામાં ૮૭૦૦ વેપારીઓએ પોતાના વ્યવસાયની નોંધણી કરાવી છે. જોકે, તેમાંથી મોટાભાગના વેપારીઓ વ્યવસાય વેરો ભરપાઇ કરતા નથી. આથી પાલિકા દ્વારા તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.
પાલિકા દ્વારા ૫૦ વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં જણાવાયું છે કે, જો વ્યવસાય વેરો ભરપાઇ કરવામાં નહી આવે તો તેમની મિલ્કતો સીલ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, પાલિકાની આ કાર્યવાહીના પગલે વ્યવસાયવેરા બાકીદારોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.