પાલનપુરની ખાનગી સ્કૂલ દ્વારા ફીની પઠાણી ઉઘરાણી થતી હોવાની રાવ
રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે લોકો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. ત્યારે પાલનપુરની સ્વસ્તિક સ્કૂલ દ્વારા ફી ની પઠાણી ઉઘરાણી કરાઈ રહી છે. જેની સામે મોરચો માંડતા આજે વાલી ઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની ગુહાર લગાવી હતી. કોરોનાના કહેરને પગલે લોક ડાઉન થતા ધંધા રોજગાર ઠપ્પ થઇ ગયા છે. મંદીના માર વચ્ચે લોકોને જીવન નિર્વાહ કરવુ પણ દુષ્કર બન્યું છે. ત્યારે પાલનપુરની હનુમાન ટેકરી ખાતે આવેલી સ્વસ્તિક સ્કૂલ દ્વારા ફી ની થતી પઠાણી ઉઘરાણીથી વાલીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્કુલ દ્વારા મસમોટા ડોનેશન અને ફી માં કરાયેલા ધરખમ વધારા સામે વિરોધ પ્રદર્શિત કરતા સ્કૂલના વાલીઓ કલેક્ટર કચેરી એ દોડી આવ્યા હતા. જ્યાં આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હોવાનું વાલી રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. સ્કુલ દ્વારા શાળા ફી, ટ્યુશન ફી, ઇતરેતર પ્રવૃત્તિ સહિતની વિવિધ ફી ના નામે અંદાજે રૂ.૭,૪૯૦ જેટલી મોટી રકમની ઉઘરાણી કરવામાં આવી રહી છે. અને લડત આપતા વાલીઓને ટોર્ચર કરાય છે. ફી નહીં ભરનાર વિધાર્થીઓના પેપર અને પરિણામ પણ નહીં આપવાની ધમકી અપાતી હોવાના આક્ષેપો હિમાંશુ પરમાર સહિતના વાલીઓએ કર્યા હતા. આમ, કોરોનાના કહેર વચ્ચે આર્થિક સંકડામણ વચ્ચે સ્કૂલોની જોહુકમીઓ સામે વાલીઓ લાચાર બની ન્યાયની ગુહાર લગાવી રહ્યા છે.