પાલનપુરનો વિકાસ નકશો પરત ફર્યો હોવાની ચર્ચાએ બિલ્ડર લોબીમાં ખળભળાટ
રખેવાળ ન્યુઝ પાલનપુર : પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસ નકશો વિવાદની એરણે ચડ્યો હતો. વિકાસ નકશાના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણુ કરાયું હોવાની રાવ વચ્ચે ખુદ ભાજપ મોવડી મંડળે વિકાસ નકશો રદ કરાવવાની કવાયત હાથ ધરી હતી. જે વિકાસ નકશો આજે રદ થયો હોવાના વહેતા થયેલા અહેવાલોને પગલે બિલ્ડર લોબી સહીત પાલિકાના કૌભાંડીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસ નકશાના નામે પાલિકાના શાસકો દ્વારા મસમોટું કૌભાંડ આચરાયું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને લઈને શહેર ભાજપ દ્વારા પણ સી.એમ.કક્ષાએ રજુઆત કરી પાર્ટીની ધુમિલ થતી છબીને બચાવવા માટે વિકાસ નક્શો ના-મંજુર કરવાની રજુઆત કરાઈ હતી. દરમિયાન, આજે એરિયા ડેવલોપમેન્ટના નિયમોનું પાલન ન કરતા વિકાસ પરત ફર્યો હોવાના અહેવાલો વહેતા થયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, વિકાસ કમિશનર અને નગર નિયોજક ની વારંવાર ની સૂચનાઓ નું પાલન થયું ન હતું. શહેરના ડી પી રોડની બારોબાર ગોઠવણ થઈ હતી. નિયમ વગર જમીનોને ગ્રીનબેલ્ટમા મુકાઈ હતી. જેવી વિવિધ ગેરરીતિઓને પગલે વિકાસ નકશો પરત ફર્યો હોવાના અહેવાલ સાંપડ્યાં છે. હવે નગર પાલિકાને બદલે નગર નીયોજકના માર્ગદર્શન હેઠળ નકશો બનશે. નકશામાં નગર નિયોજક પહેલા નોટિફિકેશન બહાર પાડશે. તેવું જાણવા મળ્યું છે. ત્યારે વિકાસ નકશો પરત ફરવાની ચર્ચાથી કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા હતા.