થરાદ દરબાર ગઢ ખાતે સૌથી નાની ઉમરના રાજવીનું રાજતીલક
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ દરબાર સાહેબ મહાવીરસિંહજીનું સૌથી નાની ઉમરે થરાદ વાઘેલા વંશના દસમા રાજવી તરીકે ગતરોજ મહંતશ્રી બળદેવનાથ ૧૦૦૮ હસ્તે રાજ તિલક કરવામાં આવ્યું હતુ. જેમાં આસોદર મહંત રેવાપુરી તેમજ મુખ્ય મહેમાન છતીસગઢના મહારાજ કમલચંદ્ર ભજદેવ ઉપસ્થત રહ્યા હતા. વાવ રાણા ગજેન્દ્રસિહજી, દાંતા યુવરાજ રિધીરાજસિહ, ભોરલ યુવરાજ ગજેન્દ્રસિહ તેમજ બનાસકાંઠા સાસંદ પરબતભાઈ પટેલ, થરાદના ધારાસભ્ય ગુલાબસિહ રાજપુત સહીત રાજકીય આગેવાનો અને થરાદ નગરની પ્રજા ઉપસ્થત રહી હતી. થરાદ એ થિરપુર નગરી નામે પ્રાચીન નગર હતું. જેની સ્થાપના ચૌહાણ વંશના રાજવી રતનસિંહજી દ્વારા કરવામાં આવી હતી. પાછળથી થરાદ પર રાધનપુર નવાબનો કબજો રહ્યો હતો અને તેમની પાસેથી મોરવાડાના વાઘેલા વંશજ ખાનસિંહજી વાઘેલા સંપૂર્ણ એકાધિકાર સાથે થરાદનો કબજો લઈ થરાદ પર વાઘેલા વંશની સ્થાપના કરેલ.
એમના વંશજ ૨૩૫ ગામના રાજવી ભીમસિંહજી વાઘેલાએ અંગ્રેજોને એક રાતી પાઇ પણ ન આપી થરાદનું નામ દિલ્લી સુધી ગુંજતું કરી દીધું હતું. ઉપરાંત ૧૯૪૨માં હિંદ છોડો આંદોલનની ચળવળ વખતે ક્રાંતિકારીઓના જમવા રહેવાની વ્યવસ્થા પણ કરી હતી. ૧૦મેં ૧૯૪૮ના રોજ ભીમસિંહજીએ થરાદને ભારતમાતાના ચરણોમાં અર્પણ કરી દીધું હતું ત્યાર બાદ પરંપરા મુજબ રાજગાદી પર જોરાવરસિહજી વાઘેલા અને ત્યારબાદ ભારતસિહજીને ૯મા રાજવી તરીકે બેસાડવામા આવ્યા હતા. ભારતસિહજીનો જન્મ ૧૯૫૫માં થરાદ ખાતે થયો હતો ૧૯૯૪મા ભારતસિહજીને રાજ તિલક કરવામાં આવ્યુ હતું. તેઓ ૨૬ વર્ષ રાજવી તરીકે રહ્યા હતા.તેમજ ૨૯/૬/૨૦૨૦ ના રોજ ભારતસિહજી નુ અવસાન થતા ભારતસિહજીના કુંવર મહાવીરસિહજીને ૧૨ વર્ષની ઉમરે થરાદ દરબાર સાહેબ તરીકે ગાદી પર બેસાડયા હતા.