વાવના ચાર ગામના ખેડૂતોને પૂરતો વીજપુરવઠો આપો
વાવ તાલુકાના અરજણપૂરા, મીઠાવીરાણા, પાનેસડા અને તેજપુરા ગામના ખેતરોમાં રહેતા ખેડૂતોને છેલ્લા બે વર્ષથી વીજ પુરવઠો પૂરતો ન મળતા હાલાકી ભોગવી રહ્યા છે. જેને લઇને સોમવારે વાવ યુજીવીસીએલની કચેરીએ જઇને આવેદનપત્ર આપી પૂરતો વીજ પુરવઠો મળી રહે તેવી માંગ કરી હતી. અરજણપૂરા, મીઠાવીરાણા, પાનેસડા અને તેજપુરા ગામના ખેડૂતોએ વાવ યુજીવીસીએલ કચેરીએ સોમવારે આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે ખેતરોમાં વસવાટ કરતા હોઈ થ્રી ફેજ અને સિંગલ ફેજ ઘરોમાં લીધેલ છે.
ટડાવ 66 કેવી સબ સ્ટેશનમાંથી આકોલી ફીડર દ્વારા વીજ પાવર અપાય છે. જેમાં થ્રી ફેજમાં વારંવાર ફોલ્ટ થાય છે. જેથી રેગ્યુલર પાવર મળતો નથી. તો સિંગલ ફેજ આવતો નથી. વારંવાર ઓફિસમાં મૌખિક રજૂઆતો કરવા છતાં કોઇ સાંભળતું નથી. અમારા પ્રશ્નનું કોઇ સોલ્યુશન લાવતા નથી. ટડાવ સબ સ્ટેશનમાં ફોન કરીએ તો પણ સંતોષકારક જવાબ આપતા નથી તો છેલ્લા બે વર્ષથી સિંગલ ફેજ કે થ્રી ફેજ પાવર પૂરતા પ્રમાણમાં મળતો નથી. બાળકોને અભ્યાસ માં મુશ્કેલી પડતી હોઇ સત્વરે પૂરતો પુરવઠો મળી રહે તેવી માંગ કરી હતી.