પાલનપુરમાં ભાજપ દ્વારા સામ પિત્રોડાનું પૂતળાદહન કરી વિરોધ પ્રદર્શન
કોંગ્રેસના નેતાની ભારતીયોના રંગભેદ અંગેની ટિપ્પણીનો વિરોધ: કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ ભારતીયોના રંગભેદને લઈને કરેલી ટિપ્પણીઓ સામે ભાજપે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન સાથે કોંગ્રેસ સામે મોરચો માંડ્યો છે. ત્યારે પાલનપુર ખાતે ભાજપ દ્વારા સામ પિત્રોડા નું પૂતળા દહન કરી વિરોધ જતાવ્યો હતો.
કોંગ્રેસના નેતા સામ પિત્રોડાને ભારતના અલગ અલગ પ્રાંતના લોકોને રંગભેદની રીતે અલગ અલગ સરખાવતા ચામડીના રંગભેદની રાજ રમત રમવાનો અધિકાર કોને આપ્યો. બંધારણને માથે લઈને નાચનારા કોંગ્રેસના લોકો દેશની પ્રજાનું અપમાન કરી રહ્યા છે. જેની સામે ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાની આગેવાની હેઠળ પાલનપુર ગુરુનાનક ચોક ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના સામ પિત્રોડા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી સામ પિત્રોડાનું પૂતળા દહન કરી વિરોધ જતાવ્યો હતો. જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા, પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.