![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/11/01-6.jpg)
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ-કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ
બનાસકાંઠા જિલ્લાની આ વખતની તમામ નવે નવ વિધાનસભા સીટોની ચર્ચા કરીએ તો પાલનપુરમાં છેલ્લાં બે ટર્મ થી કોંગ્રેસના ધારાસભ્ય ચૂંટાઈ આવે છે, પરંતુ તેઓએ પોતાના સળંગ દસ વર્ષોનાં કાર્યકાળમાં પણ જોઈએ તેવું કોઈ જ નોંધપાત્ર કામ કર્યું નથી,પાલનપુર શહેરમાં એરોમાં ટ્રાફિકનો જટિલ પ્રશ્ન હોય , રહેણાંક વિસ્તારમાંથી ડમપિંગ સાઇટ હટાવવાનો મુદ્દો કે પછી કોટ વિસ્તારમાં રસ્તા, પાણી, સફાઈ જેવા પ્રાણ પ્રશ્નો ઉકેલવાનો મુદ્દો હોય આ બધા મુદ્દે યોગ્ય સ્તરે નક્કર રજૂઆતો કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં તેઓ સફળ રહ્યા નથી.બીજી તરફ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેઓ સામે ક્રોસ વોટિંગ કરવાના આરોપો પણ લાગી ચૂક્યાં છે, જોકે તેઓએ ઘણા સમયથી કોંગ્રેસના કાર્યક્રમોથી અળગા રહયાં બાદ હવે તેઓ ફરીથી કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. જોકે કોંગ્રેસ તેમને ફરીથી રિપીટ કરશે કે પછી અન્ય કોઈ નેતાને ટીકીટ આપશે તે બાબત અંગે રાજકીય જાણકારોમાં પણ મતમતાંતર છે. કોંગ્રેસમાંથી ઇતર સમાજમાંથી પણ કેટલાંક દાવેદારોનાં નામ ચર્ચામાં છે. જોકે બીજી તરફ ભાજપ અત્યાર સુધી ઇતર સમાજને જ ઉમેદવાર બનાવતી આવે છે, પરંતુ પાટીદારો અને ઠાકોરનું વૉટબેન્ક ધરાવતી આ સીટ પર ભાજપમાં પાટીદારોએ મોટી સંખ્યામાં દાવેદારી નોંધાવી છે, ભાજપમાંથી ૮૮ લોકોએ ટીકીટ માંગી છે, પરંતુ ભાજપ હાઇકમાન્ડ પાલનપુર સીટ પરથી કોઈ પાટીદારને ઉતારશે કે ઇતર સમાજના આગેવાનને, તે ચિત્ર તો કોંગ્રેસનો ઉમેદવાર જાહેર થયા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ ગઢ પંથક અને શહેરી મતદાતાઓ પાલનપુર સીટ પર નિર્ણાયક ભૂમિકા ભજવશે તેમાં શંકાને સ્થાન નથી. આ સીટ પરથી આમ આદમી પાર્ટીએ વકીલ રમેશ નાભાણીને ટીકીટ આપી છે.
જિલ્લાના પ્રાણપ્રશ્નો અને વિકાસકાર્યોનો હિસાબ કરી મતદારો મત આપશે
બનાસકાંઠા જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતમાં ત્રીજા નમ્બરનો જિલ્લો છે, અહીંના લોકો મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર ર્નિભર છે. અહીં વર્ષોથી પાણી અને બેરોજગારી જ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો રહ્યો છે. છતાં પણ જિલ્લાની સ્થાનિક નેતાગીરી આ સમસ્યાઓનું નિરાકરણ લાવવા જોઈએ તેટલા પ્રમાણમાં સફળ રહી નથી. જોકે,અંબાજી મંદિર, સરહદી ગામ નડાબેટમાં સીમા દર્શન પ્રોજેકટ, નર્મદા કેનાલ જેવા વિકાસ કામો પણ આ જિલ્લામાં સારી રીતે થયા છે. આમ વર્તમાનમાં નડતી મુશ્કેલીઓ અને વિકાસકામો બન્નેને ધ્યાને લઇ બનાસકાંઠાની સમજુ અને શાણી પ્રજા મતદાન કરશે.
આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણી મેદાનમાં
સમગ્ર ગુજરાતની જેમ બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર રહી છે, પંચાયતથી લઈ સંસદ સુધી આ બન્ને પક્ષોનો જ દબદબો રહ્યો છે, જોકે આ વખતે આમ આદમી પાર્ટી પણ બનાસકાંઠાની તમામ સીટો પર ચૂંટણી લડનાર છે, જેમાં દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર અને વાવ સીટ પર તે પોતાના ઉમેદવારો ઉભા રાખી ચૂક્યાં છે. પરંતુ જિલ્લાની તાસીર છે કે અહીં કોઈ ત્રીજો પક્ષ અત્યારસુધી નોંધપાત્ર દેખાવ કરી શક્યું નથી.