![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/ambaji-hed.jpg)
અંબાજીમાં નકલી પૂજાપો પધરાવી યાત્રિકો સાથે ખુલ્લેઆમ છેતરપીંડી
વહીવટદારની તપાસમાં ભાંડો ફૂટતા યાત્રિકોની લાગણી દુભાઈ
યાત્રિકો સાથે છેતરપીંડી આચરતા વેપારીઓ સામે ગુનો દાખલ: યાત્રાધામ અંબાજીમાં લાખો શ્રદ્ધાળુઓ માં અંબેના દર્શનાર્થે આવતા હોય છે અને દર્શન જતા પહેલા મંદિરના શોપિંગ સેન્ટર અને શોપિંગ સેન્ટરના બહારની પ્રસાદ- પૂજાપાની દુકાનોમાંથી માતાજીને ધરાવવા પ્રસાદ પૂજાપો ખરીદતા હોય છે. તેમાં કેટલાક વેપારીઓ યાત્રિકો સાથે છેતરપિંડી કરીને ચાંદીની ખોટી ખાખર, ખોટા સિક્કા અને યંત્ર જેવી સામગ્રી પધરાવી દેતા હોય છે ને મસ મોટા બિલ બનાવી યાત્રિકોને આપતા હોય છે. જે બાબત અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના ધ્યાન ઉપર આવતા આજે મંદિરમાં પ્રસાદ પૂજાપો લઇ પ્રવેશતા યાત્રિકોની સામગ્રી તપાસતા ચાંદીના ખોટા છત્ર, ખોટા સિક્કા અને યંત્રો પકડાઈ જવા પામ્યા હતા. જેને લઇ યાત્રિકો પાસે જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યાત્રિકોએ પણ આ ખોટી વસ્તુઓ અપાતા લાગણી દુભાયાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો અને અન્ય યાત્રિકો સાથે આવું ન બને તેની તકેદારી રાખવા પણ યાત્રિક પ્રકાશમલ જૈન (ચેન્નાઈ) એ જણાવ્યું હતું.
અધિક કલેકટર અને મંદિરના વહીવટદારે પણ યાત્રિકો સાથે થતી છેતરપિંડીને લઇ દુઃખ વ્યકત કરી જણાવ્યું હતું કે રૂપિયા માટે જે વેપારીઓ આ પ્રકારની રીત અપનાવી યાત્રિકો સાથે છેતરપિંડી કરે છે તે શરમજનક છે.તેનાથી સમગ્ર શક્તિપીઠની છબી ખરડાય છે જે ન થવું જોઈએ અને વેપારીઓને પણ આ માધ્યમથી તાકીદ કરાયા હતા કે આવી છેતરપિંડીના ધંધા બંધ કરી દે નહિ તો મંદિર ટ્રસ્ટ પણ આકરા પગલાં લેશે.
જોકે આજે હાથ ધરાયેલી તપાસમાં અંબાજી મંદિર શોપિંગ સેન્ટરની દુકાન નંબર 32 તેમજ માન સરોવર રોડ તરફના એક અન્ય વેપારી સામે ફરિયાદ નોંધાવા પામી છે.જે મામલે વેપારીઓની પણ અટકાયત કરાઈ હોવાનું જાણવા મળેલ છે.