થરાદના ખેડુતો અને સામાન્ય જનતાની સમસ્યાઓ બાબતે નાયબ કલેકટરને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર
થરાદમાં કોંગ્રેસ દ્વારા શહેર અને તાલુકાની કેટલીક સમસ્યાઓ પર કાર્યવાહી કરી નિરાકરણ લાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં કચેરી દ્વારા તેમનું આવેદનપત્ર સ્વીકારી સરકારને મોકલી આપવાની ખાત્રી આપવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા ખોટી રીતે પ્રમોલગેશન થયેલ હોઈ તાત્કાલિક અસરથી રદ કરી નવેસરથી ખેતીની જમીનની માપણી કરી ખેડુતોને ન્યાય આપવા, તાજેતરમાં કમોસમી માવઠાથી એરંડા અને અન્ય પાકને નુકસાનના થયેલ સર્વે બાદનું વળતર ચુકવવા, થરાદ તાલુકાના ૯૭ ગામોને નર્મદા કમાન્ડમાં લઈને સિંચાઈ માટે પાણી આપવાની વર્ષોજૂની માંગની ચાલુ બજેટમાં જાેગવાઈ કરવા, નર્મદા કેનાલને અડીને આવેલ નીચાણવાળા ખેતરોમાં બારેમાસ પાણી ભરાયેલ રહેવાથી ત્યાં ખેતી થઇ શકતી ન હોઇ કરોડો રૂપિયાની જમીનોનું થયેલ ધોવાણનું સર્વે કરી યોગ્ય વળતર આપવા, તાલુકાનાં ગામો, આજુબાજુના તાલુકા તેમજ પાડોશમાં અડીને આવેલ રાજ્યના દર્દીઓ પણ સારવાર માટે આવે છે.
જેના લીધે સિવિલ હોસ્પિટલમાં સુવિધા વધારી મલ્ટિનેશનલ હોસ્પિટલ બનાવવા, રોજગારી મેળવી પોતાનું ગુજરાન કરી શકે તેવી થરાદમાં જીઆઈડીસી આપવામાં આવે તાલુકાના બેરોજગાર યુવાનોની વર્ષોજુની માંગ સંતોષવા તેમજ તાલુકા તથા શહેરની જનતાને પીવા માટે શુધ્ધ પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ બનાવા, રાજસ્થાનથી કચ્છ જતો નેશનલ હાઇવે જે થરાદમાંથી પસાર થાય છે, જેનું કામ ૨ વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું પરંતુ ફક્ત રોડ ખોદીને અધવચ્ચે છોડી દેવામાં આવેલ છે જેથી અકસ્માતો વધી ગયા છે અને જનતા હેરાન થઈ છે જેનું તાત્કાલિક અસરથી કામ શરૂ કરવામાં આવે.
આ સિવાય તાજેતરમાં ખરાબ હવામાનના કારણે રાયડા, જીરૂ સહિતનાં રવિ પાકોમાં મોલોમસ્સીનાં લીધે થયેલ નુક્સાનનું સર્વે કરાવી વળતર આપવા, દુધાળા પશુઓમાં ભયંકર રોગચાળાથી પશુઓ મોતને ભેટ્યા છે જેના લીધે ખેડૂતોને લાખોનું નુકસાન થયેલ છે તો સર્વે કરાવી વળતર આપવા અને થરાદ-ધાનેરાના ટોલનાકા પરથી દરરોજ હજારો વાહન પસાર થાય છે જેમાંથી મોટાભાગના સ્થાનિક લોકો પોતાના ધંધા-રોજગાર માટે કે મજુરીઅર્થે અવરજવર કરે છે અને આ તેમની રોજિંદી ક્રિયા છે, તો તાત્કાલિક અસરથી સ્થાનિક લોકોને ટોલનાકા પરથી અવરજવર માટે ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.