![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/પાલનપુર-નગરપાલિકાની-સાધારણ-HED.jpg)
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા યોજાઈ: વિપક્ષના વિરોધ વચ્ચે ત્રિ- માસિક આવક-જાવકના આંકડા મંજુર
રામના નામે વોટ બટોરનાર ભાજપ પર કોંગ્રેસના વેધક પ્રહાર
લોકસભા ચૂંટણીની આદર્શ આચાર સંહિતાના અમલ વચ્ચે ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં વિપક્ષના વિરોધ વચ્ચે ત્રિ-માસિક આવક જાવકના આંકડા વિપક્ષના વિરોધ વચ્ચે મંજુર કરાયા હતા.
લોકસભાની ચૂંટણીને પગલે આચાર સંહિતા વચ્ચે મંજૂરી સાથે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા પ્રમુખ ચીમનલાલ સોલંકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. વંદે માતરમથી પ્રારંભ થયા બાદ પાલિકાના પૂર્વ પ્રમુખ હેતલબેન રાવલના સસરા અને કોંગ્રેસના નગરસેવક સરફરાઝ સિંધીનાં માતૃશ્રી દુઃખદ નિધન બાબતે 2 મિનિટનું મૌન પાળી શોક ઠરાવ પસાર કરાયો હતો. બાદમાં એક માત્ર એજન્ડામાં પાલનપુર નગર પાલિકાના ત્રિ – માસિક આવક જાવકના આંકડા રજૂ કરાયા હતા. જોકે, વિપક્ષ દ્વારા રામનવમીએ ખાડા પુરવા પાલિકા પાસે પૈસા નથી અને પી.એમ કે સી.એમ.ની મુલાકાત ટાણે સ્વ ભંડોળમાંથી ખર્ચ કરાતો હોઈ વિરોધ વ્યક્ત કર્યો હતો.
જોકે, પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન પટેલે વિપક્ષના આક્ષેપોને રદિયો આપતા રૂ.16 કરોડના આવક જાવકના આંકડા સર્વાનુમતે મંજુર કરાયા હોવાનો દાવો કર્યો હતો. આમ, એકમાત્ર એજન્ડા હોઈ ગણતરીની મિનિટોમાં બોર્ડ સંપન્ન થયું હતું. બેઠકમાં ઉપ પ્રમુખ નાગજીભાઈ દેસાઈ, કારોબારી ચેરમેન પિયુષ પટેલ સહિત નગરસેવકો, પદાધિકારી ઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રામ નામે વોટબેંકની રાજનીતિ-વિપક્ષ: પાલનપુર નગરપાલિકાની સાધારણ સભામાં રામના નામે રાજનીતિ કરતા શાસક પક્ષ ભાજપને આડે હાથ લેતા વિપક્ષ ના નેતા અંકિતા ઠાકોરે જણાવ્યું હતું કે, પાલનપુર નગર પાલિકામાં શહેરમાં ખાડા પુરવા માટે રૂ.સવા કરોડની ગ્રાન્ટ આવે છે. છતાં રામનવમીએ રથયાત્રાના રુટ પર પડેલા ખાડા રોડથલ થી પૂર્યા હતા. જ્યારે પી.એમ. કે સી.એમ આવે ત્યારે કોન્ટ્રાકટર રાખી સિમેન્ટ કે ડામરથી ખાડા પુરાય છે. જ્યારે ભગવાન રામના નામે સત્તાસ્થાને બેઠેલા ભાજપીઓને ભગવાન રામની રથયાત્રાના ખાડા ની ચિંતા નથી. હાલ ચૂંટણી ટાણે શહેરમાં “જય શ્રી રામ” ના હોર્ડિંગ્સ લગાવનાર ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત અલગ હોઇ તેઓ સત્તા માટે રામ નું નામ વટાવતા હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા હતા.