![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/07/પાલનપુરનો-બ્રિજેશ્વર-હેડ.jpg)
પાલનપુર : ખુદ પૂર્વ ધારાસભ્યના ઘરથી મંદિર સુધીનો રૂ.5.74 લાખનો સીસી રોડ અધુરો રહેતા સ્થાનિકો ત્રાહિમામ
પાલનપુરનો બ્રિજેશ્વર કોલોની નો રોડ અધુરો છોડી દેવાતા રોષ: ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાના રાજમાં કોર્પોરેટરો જ કોન્ટ્રાકટર બની ગયા હોવાની રાવ વચ્ચે પાલિકાનો વહીવટ વગોવાઈ રહ્યો હોવાની બુમરાણ મચી છે. ત્યારે પાલનપુરમાં ભાજપના ગઢ ગણાતા બ્રિજેશ્વર કોલોનીમાં સી.સી રોડ અધુરો છોડી દેવાયો હોવાની રાવ સાથે સ્થાનિક રહીશોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નં.3 માં સમાવિષ્ટ બ્રિજેશ્વર કોલોની વિસ્તાર ભાજપનો ગઢ ગણાય છે. જોકે, ભાજપના રાજમાં આજ વિસ્તાર વિકાસથી વંચિત રહી જતા ભાજપ સમર્થિત સ્થાનિકોને અવાજ ઉઠાવવાની ફરજ પડી રહી છે. ભાજપ સમર્થક લોકોનો પણ અવાજ ન સંભળાયતા હવે તેઓ સોશિયલ મીડિયા પર હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. જેમાં બ્રિજેશ્વર કોલોની માં સી.સી રોડ હોળી પહેલાં અધૂરો બનાવી ને હવે કામ છોડી દીધું છે. કહેવાય છે કે ગ્રાન્ટ પુરી થઈ ગઈ છે. જોકે, કોન્ટ્રાકટર નાં બોર્ડમાં પૂર્વ ધારાસભ્ય રેખાબેનના ઘરથી મંદિર સુધીનું સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુડીપી-2023-24)તળે સીસીરોડનું આ કામ રૂ.574736. 00 નું બોલે છે. જે કામ પૂર્ણ કરેલું નથી. હજું લગભગ બસો ફૂટ કામ બાકી છે. ભાજપના કોર્પોરેટરો હવે નવી નવી યોજનાઓ બતાવે છે કે, તમને બ્લોક નાખી આપીએ. જ્યારે વિપક્ષ કોંગ્રેસના એક માત્ર જાગૃત કોર્પોરેટરને કીર્તિસ્તંભમાં પાણી ભરાયું એ દેખાય છે પણ પોતાનો જ વોર્ડ દેખાતો નથી. એવો બળાપો સ્થાનિક અગ્રણી ઓ ઠાલવી રહ્યા છે. જેને પગલે
બ્રિજેશ્વર કોલોનીનાં લોકો ઘરેથી જતી વખતે અને આવતી વખતે પાણીમાં ઝબોળાઈને આવ જા કરે છે. પણ પાલિકાના સત્તાધીશો કે સ્થાનિક નગરસેવકોના પેટનું પાણી હલતું ન હોવાનો અફસોસ લોકો વ્યક્ત કરી રહ્યા છે.
Tags Banaskantha Palanpur