પાલનપુર નગરપાલિકા દ્વારા શાક માર્કેટ ખસેડવાની તાકીદ
રખેવાળ ન્યુઝ પાલનપુર : સરહદી બનાસકાંઠા જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે. ત્યારે જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતે કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતા શાકમાર્કેટને શહેર બહાર ખસેડવાની તાકીદ નગર પાલિકા દ્વારા કરાઈ છે. પાલનપુર નગર પાલિકા દ્વારા હોલસેલ શાકમાર્કેટ સહીત શાકભાજીના લારીધારકોને ધનિયાણા ચોકડી પાસેના સ્પોટ્ર્સ સંકુલમાં ખસેડી લેવાની તાકીદ કરતા નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં નોટીસનો અમલ નહીં કરાય તો જાહેરનામાં ભંગની કાર્યવાહી કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
પાલનપુર નગરપાલિકા કચેરી સામે હોલસેલનું શાકમાર્કેટ આવેલું છે. આ ઉપરાંત પાલિકા કચેરીને ફરતે શાકભાજીની લારીઓ ઉભી રહે છે. જ્યાં કોરોના કહેર વચ્ચે પણ સોશિયલ ડીસ્ટન્સ જાળવ્યા વિના ધારા-૧૪૪ નો ખુલ્લેઆમ ભંગ થતો હોવાની સાથે કોરોનાને આમંત્રણ આપતી ભારે ભીડ ઉમટે છે. ત્યારે પાલનપુર નગરપાલિકા દ્વારા હોલસેલ શાકમાર્કેટ સહીત શાક અને ફ્રુટના લારીવાળાઓને ધનિયાણા ચોકડી પાસે આવેલા સ્પોટ્ર્સ સંકુલની ખુલ્લી જગ્યામાં તા.૧૧-૫-૨૦૨૦થી તાત્કાલિક અસરથી ખસેડી લેવાની તાકીદ કરતી નોટિસો વેપારીઓને ફટકારવામાં આવી છે. જે નોટિસમાં શાકભાજી માર્કેટ સત્વરે ખસેડવાની તાકીદ કરાઈ છે. અન્યથા વેપારીઓ સામે જાહેરનામાં ભંગ બદલ ની કાર્યવાહી કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે. જોકે, નોટીસ ફટકારવા છતાં આજેપણ શાકમાર્કેટ ધમધમતું હોઈ વેપારીઓ પાલિકાની નોટીસ ઘોળીને પી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે. ત્યારે પાલિકા સહીત તંત્ર કેવો આક્રમક રૂખ અપનાવે છે તે જોવું રહ્યું..!
Tags Banaskantha Palanpur