બનાસકાંઠામાં ગૌશાળા-પાંજરાપોળ માટે સો કરોડની સહાય
રખેવાળ ન્યૂઝ ડીસા : બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળા અને પાંજરાપોળોમાં પશુઓની સહાય માટે છેલ્લા ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું હતું. જે દરમ્યાન જીલ્લાના સ્થાનિક અગ્રણીઓની રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ સાથે મુલાકાત બાદ ગઈકાલે નાયબ મુખ્યમંત્રીની બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળો માટે ૧૦૦ કરોડની સહાય જાહેર કરી છે. આગામી ત્રણ માસ સુધી એટલે કે ડીસેમ્બર મહિના સુધી પશુ દીઠ રૂપિયા રપની સહાય આપવાનો નિર્ણય કરાયો છે.
નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે આ અંગે વિગત આપતા જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં લોકડાઉનના કારણે ગૌશાળા અને પાંજરાપોળોમાં દાન આવતુ ઓછુ થઈ ગયું છે અને ઘાસચારો પણ ઉપલબ્ધ થતો નથી. મંગળવારે બનાસકાંઠાના સ્થાનીક અગ્રણીઓ તથા ડીસાના ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા, કાંકરેજના ધારાસભ્ય કીર્તીસિંહ વાઘેલા તથા પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી સાથે આ બાબતે બેઠક થઈ હતી. બીજી તરફ બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલે પણ સહાય મુદ્દે ભલામણ કરી હતી. આથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે ગઈકાલે ચર્ચા કર્યા બાદ બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળો માટે અંદાજે રૂપિયા ૧૦૦ કરોડની સહાય જાહેર કરવામાં આવી છે. સંચાલકોની માંગણી મુજબ ઓક્ટોબર, નવેમ્બર અને ડીસેમ્બર મહિના સુધી પશુ દીઠ રપ રૂપિયાની સહાય આપવામાં આવશે. જાે કે, અગાઉ એપ્રિલ અને મે માસની સહાયની જાહેરાત થઈ હતી. આમ કોરોના અને લોકડાઉનના સમયમાં રાજ્યની સંવેદનશીલ સરકારે પશુઓની વહારે આવી વધુ ત્રણ મહિનાની સહાયની જાહેરાત કરી છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા પશુ સહાય માટે ૬૭ કરોડ ફાળવાયા હતાં. વધુ ત્રણ મહિના માટે ૧૦૦ કરોડ ફાળવાશે. સરકારની આ જાહેરાત બાદ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ રાહતની લાગણી અનુભવી છે.