પાટણ અને બનાસકાંઠાના ક્ષત્રિય આગેવાનોની બેઠક, રૂપાલાના વિરોધ મામલે ચૂંટણીમાં ભાજપને હરાવવા માટેની રણનીતિ
બનાસકાંઠામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદીત ટિપ્પણીને લઈ વિરોધ હજુ પણ યથાવત છે. આજે ડીસા ખાતે પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોએ અગત્યની બેઠક યોજી ગુજરાતમાં ભાજપને તમામ સીટો પર હરાવવા માટેની રણનીતિ હતી.
પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી વિવાદિત ટિપ્પણીને લઇ ગામે ગામ ક્ષત્રિય સમાજમાં રોસ ભભુકી ઉઠ્યો છે. ત્યારે આજે ડીસામાં આખોલ ચાર રસ્તા પાસે આવેલ જૈન વિહારધામ ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપે ક્ષત્રિય સમાજની માંગણીઓ સ્વીકારી રૂપાળાની ટિકિટ રદ ન કરતા ક્ષત્રિયોમાં ભારે રોષ ફેલાયો છે. તેમજ આગામી ચૂંટણીમાં ગામડે ગામડે જઈ ભાજપ વિરોધી પ્રચાર કરવા માટે કમળકા ફુલ હમારી ભૂલ વિશે લોકોને સમજાવી ભાજપ વિરોધી મતદાન કરી કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટેના પ્રયાસો હાથ ધરવાનો નિર્ણય લેવાયો હતો.
આ અંગે ક્ષત્રિય સમાજના આગેવાન બહાદુરસિંહ વાઘેલા અને રમેશસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ કરેલી ક્ષત્રિય સમાજ વિશેની વિવાદિત ટિપ્પણીના વિરોધમાં ડીસા ખાતે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપે અમારી માગણીઓ સ્વીકારી નથી એટલે હવે અમે આગામી સમયમાં ભાજપના વિરોધમાં ગામડે ગામડે જઇ પ્રચાર કરીશું અને કોંગ્રેસને બહુમતીથી જીતાડવા માટે મદદ કરીશું. ગુજરાતમાં તમામ સીટો ઉપર ક્ષત્રિયનો એક પણ વોટ ભાજપને નહીં મળે તે માટેની રણનીતિ ઘડી છે.