પોષી પૂનમના અંબાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાશે : આવતીકાલે ધામધૂમથી શોભાયાત્રા નીકળશે

બનાસકાંઠા
બનાસકાંઠા

તારીખ 25 જાન્યુઆરીએ પૂનમના પવિત્ર દિવસે માના જ્યોતિસ્થાન ગબ્બરની “અખંડ જ્યોત”માંથી જ્યોતનો અંશ લાવવામાં આવશે. આ ઉપરાંત પોષી પૂનમ શોભાયાત્રામાં ગબ્બર પર્વત ફરતે આવેલા 51 શક્તિપીઠના મંદિરોમાંથી પણ જ્યોતનો અંશ પ્રગટાવી તેને અંબાજી મંદિર લાવવામાં આવશે. ગબ્બર મંદિર પર પૂજા અર્ચના બાદ ગબ્બર મંદિર શિખર પર ધજા ચઢાવવામાં આવે છે. ત્યારે ગબ્બર પર્વત ખાતેના નગરજનો અને પંડિતો દ્વારા જ્યોતનું સ્વાગત કરવામાં આવે છે. શ્રી આપેશ્વર મહાદેવ ખાતે અંબાજીના રબારી સમાજ દ્વારા જ્યોતનું સામૈયું અને ઓવારણાં લેવામાં આવશે.

ગબ્બરથી લાવેલી જ્યોતને મુખ્ય મંદિરની જયોતમાં મિલાવવામાં આવે છે. અંબાજી મંદિર મુખ્યદ્વાર શક્તિદ્વારે “મહાઆરતી” કરવામાં આવશે. ત્યાર બાદ સમગ્ર અંબાજી નગરમાર્ગો પર મા અંબા ભક્તજનોને દર્શન આપવા ગજરાજ પર આરૂઢ થઇ અંબાજી નગરની નગરયાત્રાએ નીકળશે. ભાદરવી પૂનમ જેવા મહામેળામાં ગામે ગામથી આવતા સંઘો, અનુપમ કલાત્મક રથ, ધજાઓ અને પદયાત્રી ભાવિક ભક્તો જેના દર્શન માટે પગપાળા આવે છે. એવી જ રીતે મા અંબાના દર્શન કાજે લાખોની ભાવિક ભીડ પોષી પૂનમની શોભાયાત્રામાં ઉમટી પડે છે.

પોષી પુનમની શોભાયાત્રા દરમિયાન 2100 કિલો સુખડી પ્રસાદ ભક્તોને અપાશે. આ માટે જ પૂનમને સુખડી પૂનમ પણ કહેવાય છે. આ પૂનમને શાકમ્બરી પૂનમ પણ કહે છે. કેમકે આ દિવસે જ મા ભગવતીએ દુકાળગ્રસ્ત ભૂમિને લીલોતરીના આશીર્વાદ આપ્યા હતા. આથી પોષી પૂનમે મા ભગવતીને શાકનો શણગાર કરવામાં આવે છે. જેનાં દર્શનનો મહિમા છે. વર્ષ દરમિયાનની પોષ મહિનાની ગુપ્ત નવરાત્રિએ પણ આઠમથી પૂનમ સુધી મા અંબેની આરાધના કરવામાં આવે છે.

રથ ધજા પતાકાઓ સાથે હાથી, ઘોડા, ઊંટ અને બેન્ડવાજા શરણાઈઓના સંગીત સાથે વાજતે ગાજતે ધામધૂમ પૂર્વક શુભયાત્રાનો પ્રારંભ થશે. શૈક્ષણિક સંસ્થાઓની વિવિધ વિષયો સાથેની ઝાંખીઓ આકર્ષણરૂપ હોય છે. ગામની બાલિકાઓ માથા પર શ્રીફળ કળશ લઈ હર્ષભેર માની શોભાયાત્રામાં જોડાશે. સંસ્કૃત પાઠશાળાના બટુકો પણ યાત્રામાં જોડાય છે. 30 કરતા વધુ ઝાંખીઓ સાથે નગરમાર્ગો પર ફર્યા બાદ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરતા સ્વર્ણિમ શિખર પર ધજાજીની આરોહણ કરવામાં આવશે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.