થરાદના આશાપુરીવાસમાં લૉવોલ્ટેજના કારણે ઉનાળાની કાળજાળ ગરમીમાં સ્થાનિક રહેશો ત્રાહિમામ
ઉનાળાની ગરમીમાં પંખા પણ પૂરતા ફરતા ન હોવાથી અબાલ વૃદ્ધ ત્રાહિમામ: થરાદના આશાપુરીવાસમાં લૉવોલ્ટેજના કારણે ઉનાળાની કાળજાળ ગરમીમાં સ્થાનિક રહેશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આથી રહીશોએ વીજવાયરમાં રહેલા સાંધા દૂર કરી વોલ્ટેજ વધારી આપવાની વીજ કંપનીમાં લેખિતમાં સહી સાથે રજૂઆત કરી હતી.
થરાદના આશાપુરી વાસ (વિજય બિઝનેસ) વિસ્તારમાં રહીશોના રહેણાંકના મકાનો આવેલાં છે. પરંતુ આ રહીશોને ઘર વપરાશમાં વોલ્ટેજ ઓછા મળી રહ્યા છે, તેમજ ઉનાળાની ગરમી વચ્ચે મોટાભાગના લોકો પોતાના સાધન સંપન્ન લોકો પોતાના ઘરોમાં એસી પણ ચાલુ કરે છે. આથી અન્ય વિસ્તારોના રહીશોને રાત્રે પંખા પણ ઓછા ફરે છે. આ ઉપરાંત વોલ્ટેજ ડાઉન થાય છે.જેના કારણે ઉનાળાની ગરમીમાં રહીશો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
આથી આશાપુરીવાસના રહીશોએ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી તેમના ઘરવપરાશના વોલ્ટેજ જે ઓછા મળી રહ્યા છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા કરી આપવાની માંગણી કરી હતી. આ અંગે રહીશોએ અગાઉ પણ વીજ કંપનીમાં લેખિતમાં રજૂઆત કરી હતી. તદુપરાંત તેમના વાયરોની વચ્ચે સાંધા રહેલા છે આથી ફોલ્ટ થવાનો ભય પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. રહીશોએ નવા વીજ વાયર નાખી આપવાની પણ લેખિતમાં રજૂઆત કરી છે.