લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બનાસકાંઠા પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલરૂમ કાર્યરત કરાયો
ચૂંટણીલક્ષી ફરિયાદોના નિકાલ માટે જિલ્લા કન્ટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધી કલોક કામગીરી
જિલ્લા કન્ટ્રોલ રૂમ ફોન નંબર 02742- 265165 અને હેલ્પલાઇન નમ્બર 1950 પર આચારસંહિતા ભંગની ફરિયાદ કરી શકાશે: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. 16 મી માર્ચે લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની જાહેરાતને પગલે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણ કુમાર બરનવાલના સીધા માર્ગદર્શન અને દેખરેખ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી યોજવા સજ્જ છે. આચાર સંહિતા ભંગની કોઈપણ ફરિયાદના નિકાલ માટે પાલનપુર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલરૂમ અને જિલ્લા કન્ટ્રોલ સેન્ટર (1950 હેલ્પલાઇન) ની સુવિધા કાર્યરત કરી દેવામા આવી છે.
તા.16 મી માર્ચથી ચૂંટણી આચાર સંહિતા અમલી બની છે. જેના ચુસ્ત પાલન માટે જિલ્લા કલેક્ટર કચેરી પાલનપુર ખાતે ચૂંટણીલક્ષી ફરિયાદોના નિકાલ માટે ચોવીસ કલાક રાઉન્ડ ધી કલોક જિલ્લા કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ચૂંટણી સંબંધિત ફરિયાદ માટે જિલ્લા કન્ટ્રોલ રૂમના ફોન નંબર 02742- 265165 જાહેર કરવામાં આવ્યો છે. જેના પર કોઈપણ નાગરિક આચાર સંહિતા ભંગ અને ચૂંટણીને લગતી ફરિયાદ નોંધાવી શકે છે. જિલ્લા કન્ટ્રોલ રૂમમાં મળેલ ફરિયાદને રજીસ્ટરમાં નોંધી જે તે મત વિસ્તારના કન્સર્ન અધિકારી (ડેપ્યુટી કલેક્ટર) ને જાણ કરવામાં આવે છે. ફરિયાદને NGSP પોર્ટલ પર નોંધી ટ્રેકિંગ કરી તેનો નિકાલ લાવવામાં આવે છે.
આ ઉપરાંત મતદારો માટેની હેલ્પલાઇન નમ્બર 1950 દ્વારા મતદારો મતદાર યાદીમાં પોતાનું નામ કયા ભાગમાં કયા ક્રમ પર નોંધાયેલ છે તેની માહિતી તથા મતદાન માટે કયા સ્થળે જવાનું છે તેની માહિતી મેળવી શકે છે. મતદાર યાદી , ચૂંટણી આચાર સંહિતા તેમજ ગેરરીતિ બાબતે ફરિયાદ માટે પણ 1950 ટોલ ફ્રી નંબરની સેવા ઉપલબ્ધ કરાઈ છે. તો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1800 233 2024 નમ્બર પર પણ ચૂંટણી આચાર સંહિતા ભંગને લગતી કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવી શકાય છે. અત્યાર સુધીમાં જિલ્લા કન્ટ્રોલ રૂમમાં ચૂંટણી આચાર સંહિતા ભંગની એક ફરિયાદ મળી છે જેનો નિકાલ કરવામાં આવેલ છે.