![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/06/પાલનપુર-કોલેજ-કમ્પાઉન્ડના-hed.jpg)
ગંદકી અને અસામાજિક તત્વોના ત્રાસથી સ્થાનિકો ત્રસ્ત : રહીશોએ કલેકટરને આપ્યું આવેદનપત્ર
પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં શાકમાર્કેટની ગંદકી, આડેધડ પાર્કિંગ અને અસામાજિક તત્ત્વોના ત્રાસથી ત્રસ્ત સ્થાનિક રહીશો કલેકટર કચેરીએ દોડી આવ્યા હતા. જ્યાં તેઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ન્યાયની ગુહાર લગાવી હતી.
પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં શાકમાર્કેટ આવેલી છે. જે શાકમાર્કેટનું સ્થળાંતર થયું છે. નવી શાકમાર્કેટ બની હોવા છતાં વેપારીઓ અહીં અડિંગો જમાવીને બેઠા છે. જેને લીધે સવાર સવારમાં રોડ પરથી વાહનો તો શું પણ રાહદારીઓ પણ પસાર થઈ શકતા નથી. વળી, શાકમાર્કેટના કારણે અસહ્ય ગંદકીથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઇ રહી છે. તો વળી શાકમાર્કેટ પાસે આડેધડ વાહન પાર્કિંગથી સ્થાનિકોને અવર જવર કરવામાં ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અહીં ઇમરજન્સીમાં એમ્બ્યુલન્સ પણ આવી શકતી નથી. તો વળી વાહન ચાલકો અને અસામાજિક તત્ત્વો અડિંગો જમાવીને બેસતા હોઈ બહેન દીકરીને નીકળવું ભારે પડે છે. જાહેરમાં અપશબ્દો બોલતા અને બાવરી કોમના છોકરાઓ દ્વારા છેડતી થતી હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો.
વાહન ચાલકો સામે જ બેસી રહેતા હોઇ ઘર બંધ રાખીને રહેવા મજબૂર લોકોએ આ સમસ્યાના ઉકેલની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં ઉકેલ નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.