![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/07/પદમાવતી-સોસાયટી.jpg)
ડીસાની પદમાવતી સોસાયટીમાં કાચા રસ્તાથી સ્થાનિક રહીશો પરેશાન
(રખેવાળ ન્યૂઝ) ડીસા, ડીસાની પદમાવતી સોસાયટી માં પાકા માર્ગના અભાવે ચોમાસા દરમિયાન વરસાદી પાણીના ખાબોચિયાં ભરાઈ રહેતાં મચ્છરનો ઉપદ્રવ વધતાં રોગચાળાની ભીતી સેવાઈ રહી છે તેમજ કાદવ કીચડના કારણે સ્થાનિક રહીશો સહિત બાળકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ડીસા-પાટણ હાઈવે ઉપર આવેલ એસ.વી.પ્લાઝા સામેની પદમાવતી સોસાયટીના રહીશો છેલ્લાં ઘણા સમયથી રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધા માટે નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરી રહ્યાં છે પરંતુ આજદિન સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેથી હાલમાં ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાતા કાચા રસ્તા ઉપર કાદવ કીચડ થતાં સ્થાનિક રહીશો ને બહાર નિકળવું પણ મુશ્કેલ બની જાય છે. આ ઉપરાંત રસ્તા પર ભરાતા ખાબોચિયામાં મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે. જેથી સ્થાનિક રહીશો મચ્છરજન્ય રોગચાળાનો ભોગ બને તે અગાઉ નગરપાલિકા દ્વારા સમસ્યાનો હલ કરવામાં આવે તે જરૂરી છે.
આ અંગે પદમાવતી સોસાયટી ના રહીશોએ જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં પાકા રસ્તાના અભાવે ખુબ જ મુશ્કેલી વેઠવી પડે છે. નગરપાલિકા દ્વારા સત્વરે પાકો રસ્તો બનાવી કાદવ કીચડની સમસ્યામાંથી છુટકારો અપાવે તેવી નગરપાલિકા પ્રમુખ અને સ્થાનિક નગરસેવકોને અપીલ છે.