![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2020/04/5255.jpg)
કર્ણાટકમાં ફસાયેલા બનાસકાંઠાના ૨૪ વિદ્યાર્થીઓ વતનમાં પરત ફર્યા
રખેવાળ ન્યુઝ પાલનપુર : કોરોનાના કહેર વચ્ચે બનાસકાંઠા જિલ્લાના અનેક છાત્રો વિદેશ તેમજ અન્ય રાજ્યોમાં ફસાઈ ગયા છે. જેઓ પોતાના વતનમાં પરત આવવા માટે સરકારને વિનંતી કરી રહ્યા છે. દરમિયાન કર્ણાટકમાં ફસાયેલા બનાસકાંઠાના ૨૪ છાત્રો વતનમાં પરત ફરતાં તેમના પરિવારજનોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં છાત્રો ચાઈના સહિતના દેશ તેમજ દેશના અન્ય રાજ્યોમાં અભ્યાસ અર્થે ગયા હતા. જોકે, કોરોના વાયરસની મહામારીના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવતાં મોટાભાગના છાત્રો જે તે સ્થળે ફસાઈ ગયા છે. અને પોતાને વતનમાં પરત લાવવા માટે સરકાર સમક્ષ રજૂઆતો કરી રહ્યા છે. જ્યાં કર્ણાટકમાં ફસાયેલા છાત્રોએ પણ પોતાને વતનમાં પરત લાવવા માટે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. આથી સાંસદે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળાને પત્ર લખતાં તેમણે ત્વરિત વ્યવસ્થા કરી હતી. અને બનાસકાંઠા તેમજ ગુજરાતના છાત્રોનું સંપૂર્ણ મેડિકલ ચેકઅપ કરી સોશિયલ ડિસ્ટન્સ સાથે ત્રણ બસોમાં તેમના વતનમાં મોકલ્યા હતા. જેના પગલે આ છાત્રોના પરિવાજનોમાં આનંદ પ્રસરી ગયો હતો.