ડીસામાં બનાસ નદીના કિનારે વર્ષોથી ચાલતા ૧પ બોર બંધ કરાવવા રજુઆત
રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠા જીલ્લાના ડીસા વિસ્તારમાં આખોલ અને માલગઢ પાસેથી પસાર થતી બનાસ નદીના કિનારે લગભગ રર બોર થરાદ વિસ્તારમાં વર્ષોથી પીવાનું પાણી પહોંચાડતા હતા. હાલ ૧પ (પંદર) બોર ચાલુ છે. અને ચોવીસ કલાકમાં લગભગ ર-એમ.એલ.ટી. એટલે કે વીસ લાખ લીટર પાણી થરાદ ખાતે પાઈપ લાઈન દ્વારા જાય છે. અગાઉ તો થરાદ, વાવ સુઈગામ વિસ્તારમાં નર્મદાના પાણી પહોંચ્યા નહોતા. પરંતુ આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જહેમતથી છેવાડાના આ વિસ્તારોમાં નર્મદાનું પુષ્કળ પાણી પહોંચ્યું છે. તેમજ પીવાના પાણી માટે છેલ્લા સાતેક વર્ષથી ફીલ્ટર પ્લાન્ટ પણ ચાલુ થઈ ગયેલ છે. અને તે વિસ્તારના લોકોને પીવાના પાણીની કોઈપણ પ્રકારની તકલીફ નથી. જ્યારે ડીસા, ધાનેરા અને પાલનપુર વિસ્તાર કે જ્યાં પ૦ વર્ષ પહેલા ૭૦ ફુટે પાણી હતા તે હવે સરેરાશ ૬૦૦ થી ૧ર૦૦ ફુટ સુધી ઉંડા જતા રહ્યા છે. બંને તાલુકાના અંદાજે ૩૦% ગામોમાં તો ૧ર૦૦ ફુટે પણ પાણી પીવાનું કે ખેતીલાયક પાણી મળતું નથી. સાથે સાથે આ તાલુકાઓમાં નર્મદાનું પાણી પણ મળી શકતું નથી. તો ડીસા અને ધાનેરા વિસ્તારના લોકોની સુખાકારી માટે બનાસનદી કે જે ૧૯૯ર થી આજ સુધી કોરી ધાકોર છે તેના કિનારે પ૦ વર્ષથી ચાલતા આ તમામ બોર (ટ્યુબવેલો) તાત્કાલીક બંધ કરાવી નર્મદાનું પાણી બનાસનદીમાં લાવવા માટેની તજવીજ હાથ ધરાય તેવી ડીસા અને ધાનેરાના ખેડૂતો અને પ્રજાજનો ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળીએ પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને રજુઆત કરી છે.