![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/12/05-21.jpg)
થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં સઘન સારવાર : કેન્સર તપાસણી માટે મેમોગ્રાફી વાન ગામેગામ ફરશે
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપયીના જન્મ દિવસે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જે મેગા મેડિકલ કેમ્પમાં આજે 5,000 થી વધુ લોકોએ પોતાની આરોગ્ય તપાસ કરાવી. તમામ રોગની સારવાર માટે થરાદ ખાતે નિષ્ણાત ડોકટરો દ્વારા સઘન સારવાર મળતાં લોકોએ અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો.વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આજે થરાદ ની સરકારી વિનયન કોલેજ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ તેમજ બનાસ મેડિકલ કોલેજ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં 50 થી વધારે નિષ્ણાંત તબીબોની ટીમો તેમના મેડિકલ સ્ટાફ સાથે હાજર રહી સારવાર આપી હતી. આ મેડિકલ કેમ્પમાં ન માત્ર સારવાર પરંતુ અત્યાધુનિક મશીનો દ્વારા પણ ગંભીર રોગોની ચકાસણી કરવામાં આવી હતી. કેન્સર તેમજ હૃદય રોગને લગતા રોગોને નિદાન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોએ પોતાના સ્વાસ્થ્યને લગતી તપાસ કરાવી હતી. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મેગા મેડિકલ કેમ્પની મુલાકાત દરમિયાન સારવાર લઈ રહેલા તમામ લોકો સાથે રૂબરૂ મુલાકાત કરી મેડિકલ કેમ્પની વિગતો મેળવી હતી.
અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે થરાદમાં મેગા મેડિકલ કેમ્પમાં લોકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે. જેમાં અમદાવાદના નિષ્ણાંત તબીબોની ટીમ સારવાર આપી રહી છે. થરાદના લોકો સેવાના કામમાં અગ્રેસર હોય છે. આજે મેડિકલ કેમ્પમાં લોકોએ સાચી શ્રધ્ધા અને નિષ્ઠાપૂર્વક સેવા કરી જનસેવા એજ પ્રભુસેવાની પરિકલ્પના સાર્થક કરી રહ્યા છે. આ મેડિકલ કેમ્પમાં જે પણ લોકોને ગંભીર પ્રકારની બીમારી જણાશે તો તેમને વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ સારવાર આપવામાં આવશે. આજે મેડિકલ કેમ્પમાં કેન્સર તેમજ કિડનીના ગંભીર બીમારીનું પણ સ્ક્રીનીંગ થઈ રહ્યું છે. જેથી ગંભીર બીમારીઓમાં લોકોને રોગમુક્ત કરી શકાય. આવતીકાલ થી કેન્સર રોગની ચકાસણી માટે મેમોગ્રાફી વાન ગામેગામ ફરશે.સાંસદ પરબતભાઈ પટેલ જણાવ્યું હતું આજે આરોગ્યની જાળવણી ખૂબ જરૂરી છે. વધુ પડતાં રાસાયણિક ખાતરના ઉપયોગના કારણે આજે ગંભીર બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. થરાદ ખાતે આજે જયારે આ મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું છે તેમાં લોકોને ઘર આંગણે સારવાર મળી રહી છે. આ પ્રકારના આયોજન બદલ હું સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થકી આજે આયુષ્યમાન કાર્ડ મળ્યું છે જે મુશ્કેલીમાં આપણને મદદરૂપ થઇ રહ્યું છે.