![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/07/31.jpg)
દાંતા તાલુકાના મોટાસડા ગામમાં સિકલ સેલ એનિમિયા નાબૂદીનો પ્રારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સીક્લ સેલ એનિમિયા નાબૂદી મિશન-2047નો મધ્યપ્રદેશના સહડોલ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને દેશને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના મોટાસડા ગામના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે સિકલ સેલ ડીસીઝના દર્દીઓ અને પ્રધાનમંત્રી આયુષ્માન કાર્ડના લાભાર્થીઓને કાર્ડ અર્પણ કરી સીકલસેલ એનિમિયા નાબૂદી મિશન-2047નો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સામાન્ય કાર્યકર્તા હતા. એ સમયે દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન સિકલ સેલ એનિમિયા નામનો રોગ તેમના ધ્યાને આવ્યો હતો. આ વંશ પરંપરાગત રોગના નિર્મૂલન માટે આજે વડાપ્રધાને મધ્યપ્રદેશથી સિકલ સેલ એનિમિયા નિર્મૂલન કાર્યક્રમની શરૂઆત કરાવી છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને નવી ઉંચાઇએ લઈ જઈ રહ્યા છે. ત્યારે ટીબી, મેલેરિયા જેવા રોગોને ભારતમાંથી દૂર કરવાનો વડાપ્રધાને નિર્ધાર કર્યો છે.