ધાનેરાના વાછડાલમાં અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે ઉમંગ મોલનો શુભારંભ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વાછડાલ ગામે બનાસ ડેરીના ચેરમેન અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે વાછડાલ દૂધ ઉત્પાદક સેવા સહકારી મંડળી સંચાલિત બનાસ ઉમંગ મોલનો શુભારંભ, બનાસ બેન્કના ATMનું લોકર્પણ અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અધ્યક્ષ શંકર ચૌધરીએ ગ્રામજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, વાછડાલ ગામે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિકારી કામ કર્યુ છે. ગામના દરેક વ્યક્તિનું કલ્યાણ અને ભલું થાય એ દિશામાં કામ કરીએ તો પ્રકૃતિ કે કુદરત પણ મદદ કરતી હોય છે. સુખી થવા માટે ધરતી પર પશુ, પંખી, વૃક્ષ હોવા જરૂરી છે. માતા-બહેનોના પુરુષાર્થ અને તેમના આશીર્વાદથી બનાસ ડેરી પ્રગતિના નવા સોપાનો સર કરી રહી છે. કોઈપણ વ્યવસાય, ધંધામાં 10 કે 20 ટકા જ નફો મળે છે ત્યારે બનાસ ડેરીએ આ વર્ષે 20.27 ટકા જેટલો ઐતિહાસિક નફો આપ્યો છે.
પશુપાલકોને પુરતા રૂપિયા મળે તે માટે બનાસ ડેરીના કર્મચારીઓ રાતદિવસ કામ કરે છે. આપણી બનાસનું દૂધ કેદારનાથમાં જાય છે. અત્યારે ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસમાં કાશી વિશ્વનાથમાં ભગવાન શિવને બનાસની ગાયોનું દૂધ ચડે છે. બનાસકાંઠા જિલ્લો ખેતી, પશુપાલનની જેમ પોતાના ખેતરના શેઢે-પાળે ચંદનના વૃક્ષ વાવીને આર્થિક રીતે સદ્ધર બની શકે તે દિશામાં પ્રયાસો આદરવા છે. જે ખેડૂતોને ચંદનના ઝાડ વાવવા હોય એવા ખેડૂતોને રૂ. 300 નો છોડ માત્ર રૂ. 30 રૂપિયામાં આપવામાં આવશે. એક ખેડૂતને વધુમાં વધુ 100 છોડ આપવામાં આવશે. આ ચંદનનો એક છોડ 10 વર્ષ પછી રૂપિયા એક લાખની કિંમત આપશે. બનાસકાંઠાને દુનિયાનો સૌથી સુખી- સમૃદ્વ જિલ્લો બનાવવો છે. થરાદ અને ધાનેરા વિસ્તારને પાણી આપવા માટે રૂ. 1400 કરોડની યોજના મંજુર કરવામાં આવી છે. આ વિસ્તારની પાણીની સમસ્યાઓના નિવારણ માટે કોઈ કચાશ રાખવામાં નહીં આવે. અધ્યક્ષએ જણાવ્યું કે, દેશના ગૃહ મંત્રી અમિત શાહે દેશમાંથી બે બેન્કોની પાયલોટ પ્રોજેક્ટ તરીકે પસંદ કરવામાં આવી છે એમાં આપણી બનાસ બેન્કની પણ પસંદગી કરવામાં આવી છે.