![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/અંબાજી-ભાદરવી-મહાકુંભના-સૌથી-મોટા-સેવા-કેમ્પ2.jpg)
અંબાજી ભાદરવી મહાકુંભના સૌથી મોટા સેવા કેમ્પનો પ્રારંભ
(રખેવાળ ન્યૂઝ) ડીસા, બે વર્ષ બાદ યાત્રાધામ અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મહામેળામાં આવતા લાખો પદયાત્રીઓની
સેવા માટે અનેક સેવા કેમ્પો સેવાની સરવાણી વહાવે છે જેમાં સૌથી મોટો સેવા કેમ્પ જય જલિયાણ ફાઉન્ડેશન દ્વારા દાંતા રતનપુર ખાતે શરૂ કરાયો છે. કેમ્પના પ્રથમ દિવસે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લઈ પ દયાત્રિકોને ભોજન પ્રસાદ પીરસ્યો હતો. સાથે સાથે આયોજકોની આ કામગીરીને બિરદાવી હતી. જે કેમ્પનો સોમવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પ માં પદયાત્રીકોને મિષ્ઠાન, ભોજન, આરામની ઉત્તમ સુવિધા અને મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
સંત શ્રી જલારામ બાપાનો જીવન મંત્ર હતો કે ભોજન કરાવવું અને દુનિયાની સેવા કરવી જેને ફળિભુત કરવા જય જલિયાણ ફાઉન્ડેશન ડીસા દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. જેમાં છેલ્લા ૧૫ વર્ષથી અંબાજી જતા પદયાત્રીકોની સેવા માટે દાંતા નજીક રતનપુર ખાતે બનાસ દૂધ શીત કેન્દ્રની સામે વિશાળ સેવા કેમ્પ યોજવામાં આવે છે. સંસ્થાના સેવાભાવી યુવકો દ્વારા પ દયાત્રીઓની સેવા માટે ૪૦ હજાર ફૂટ જેટલો વિશાળ સામિયાણો બનાવવામાં આવ્યો છે. જેમાં પદ યાત્રિકોને શુદ્ધ ઘીની બુંદી સાથે ભોજન, આરામ કરવાની ઉત્તમ સુવિધા અને મેડિકલની ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.આ ઉપરાંત પદયાત્રીકોનો થાક ઉતરી જાય તે માટે લાઇવ ઓરકેસ્ટ્રા પાર્ટી સાથે દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ખ્યાતનામ કલાકારોની ઉપસ્થિતિમાં યોજવામાં આવે છે.
સોમવારે સેવા કેમ્પનું ઉદઘાટન જય જલિયાણ ફાઉન્ડેશનના હિતેશભાઈ ઠક્કર તથા દીપકભાઈ ઠક્કર સહિતની ઉપસ્થિતિમાં માતાજીની આરતી કરીને કરવામાં આવ્યું હતું. ચાર દિવસ સુધી ચાલનારા કેમ્પમાં અંદાજે ત્રણ લાખથી વધુ લોકો સેવાનો લાભ લે છે.
આ વર્ષે મેળામાં શ્રદ્ધાળુઓનો ઘસારો વધુ રહેશેઃ સેવાભાવી હિતેશભાઈ ઠક્કર
માઇભક્ત અને સેવાભાવી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું કે છેલ્લા બે વર્ષથી અંબાજીનો મહા મેળો કોરોનાના લીધે યોજાતો ન હતો. માતાજીના ઓનલાઈનદર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. બે વર્ષ બાદ કુદરતની મહેરબાનીથી ફરી પદયાત્રા શરૂ થઈ છે ત્યારે મહા મેળાના બે દિવસ પૂર્વે જ લાખો માઈ ભક્તો અંબાજી પહોંચ્યા છે અને માતાજીના દર્શન કરીધન્યતા અનુભવી છે.