ડીસામાં હોમ કોરોનટાઇનમાં રહીને પરિવારના ૮ સભ્યોએ કોરોનાને હરાવ્યો
પરિવારે સાબિત કર્યું કે કોરોના સામે ડરવાની નહી પણ હિંમતથી લડવાની જરૂરત છે
કોરોનાથી ભયભીત બનેલા લોકો માટે પત્રકાર પરિવાર પ્રેરણાદાયી નિવડ્યો
કોરોના મહામારીમાં આજે વાત કરીએ એક એવા પરિવારની કે જે ઘરના તમામ આઠ સભ્યો કોરોના સંક્ર્મણનો ભોગ બન્યા હતા.જોકે ‘ડરના મના હે’ ઉક્તિ મુજબ એ ઘરના મુખિયાએ તમામને મોટિવેશન સ્પીકરની જેમ ટીમવર્કથી લડવા હાકલ કરી. જેને તમામે માની અને અપનાવી.તેથી હોસ્પિટલ ગયા વિના હોમ આઇસોલેશન પિરિયડમાં રહી કોરોનાને હરાવ્યો છે.
ડીસાના પત્રકાર ધનેશભાઈ પરમાર અને તેમની પત્નીને એપ્રિલના પ્રથમ વીકમાં કોરોના થતાં તેઓ નદી તટ નજીકના પોતાના ફાર્મહાઉસ પર હોમ કોરોનટાઇન થયા હતા.જોકે વિધિની વક્રતાએ ઘરમાં સેફ રહેલા પરિવારના અન્ય છ સભ્યો પણ ગત ૨૫ એપ્રિલે કોરોના ગ્રસ્ત થયા,પોતાના ચાર બાળકો અને ૭૮ વર્ષીય વૃદ્ધ માંની મદદમા માંડ માંડ કોરોનાથી છુટકારો મેળવી સ્વસ્થ થયેલ પતિપત્ની માથે ધર્મસંકટ આવ્યું,અહીં સ્થિતિ એવી હતી કે બાળકોની મદદમાં જોડાઈએ તો પુનઃ કોરોના ચેપ લાગે, જોકે ધનેશભાઈ અને તેમની પત્ની રીનાબેન પરમારે કોરોનાને સામે ચાલી જાણે ગળે લગાડતા હોય તેમ સંક્રમિત બાળકો અને વૃદ્ધ માંને સાથે રાખી લડવાનું નક્કી કર્યું,અને તમામ ડીસા શહેરના મકાનને તાળા મારી ફાર્મ પર આવ્યા,અહીં બાળકો સાથે રહેતાં પતિપત્ની બન્ને બીજી વાર સંક્રમિત થયા, જોકે હોમ કોરોનટાઇન સમયમાં નિયમિત એલોપેથી, આયૂર્વેદીક અને હોમિયોપેથીક મેડિસિન સાથે શ્વસન તંત્રને મજબૂત કરતા વ્યાયામ સાથે આ ૮ સભ્યોએ આજે ઘેર રહી કોરોના પર જીત મેળવી છે,કોરોનાથી ભયભીત થતાં લોકો માટે આ પરિવાર પ્રેરણારૂપ હિંમત આપતો પરિવાર બન્યો છે.
આ બાબતે ધનેશભાઈ અને તેમની પત્ની રીનાબેને જણાવ્યું કે ” માંડ માંડ કોરોનામાંથી મુક્ત થયા પણ કોરોનાએ અમારા બાળકો પર કબજો કરતા તેમની સુરક્ષા અને સારવાર માટે અમે પુનઃ કોરોનાગ્રસ્ત બન્યા પણ ટીમવર્કથી લડ્યા અને જીત્યા..
એમબીબીએસના પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી તેમની જ્યેષ્ઠ પુત્રી ડિમ્પલે જણાવ્યું કે ” તમારો રિપોર્ટ કોરોના પોઝેટીવ છે”તેવું સાંભળતા જ મને ચક્કર આવી ગયા અને હું ભયથી રડવા લાગેલ જોકે મારા પપ્પાએ મને હિંમત આપતા હું સ્વસ્થ થઇ પણ જ્યાં સુધી અમો સહુનો આરટીપીસીઆર રિપોર્ટ નેગેટિવ ના આવ્યો ત્યાં સુધી માનસિક તણાવમાં જ રહી.
ખરાબ સપના આવતા હતા
પરિવારના સભ્ય એવા ધ્રુવ અને પાર્થે જણાવેલ કે અમારો અભ્યાસ અને ટ્યુશન ઓન લાઈન હોય છે એટલે ના છૂટકે મોબાઈલ હાથમાં લઇ એ ત્યારે કોરોનાના મોતના ભયજનક આંકડા અને ઓક્સિજન માટે તરફડતા લોકોની પીડા દરેક પ્લેટફોર્મ પર દેખાતી હોઈ અમને થતું કે શું અમે પણ ઓક્સિજન વગર દુઃખી થઈશું ? અને વધુમાં કોરોનામાં મરણ જનારાના ફોટો અને શ્રદ્ધાંજલી પોસ્ટથી રાત્રે પણ ખરાબ સપના આવતા હતા.પણ ઈશ્વરનો આભાર અમે બચી ગયા.
પરિવાર ભાવનાથી કોરોનાનો જંગ જીત્યા
રીનાબેને જણાવ્યું હતું કે ઘરમાં સહુથી વધુ જવાબદારીનો લોડ મારી પર હતો. તમામને ઉકાળા,હળદર સાથે દૂધ, દવા બે ટાઈમ જમવાનું, તમામના કપડાં અને વાસણો ધોઈ હું અધમરી થઇ ગઈ હતી, કેમકે કોઈ કામવાળી બાઈ કે લોકો પાસે આવતા ન હતા બધા ડરતા હતા,જોકે પતિદેવ પડકારો સામે હોશિયાર અને ખબરદાર હોઈ પરિવાર ભાવનાથી અમો આ જન્ગ જીત્યા છીએ.