થરાદમાં માર્કેટથી ઢીમા ત્રણ રસ્તા સુધીના હાઇવે પરનાં દબાણો દુર કરાવાશે
રખેવાળ ન્યુઝ થરાદ : થરાદના હાઇવે વિસ્તારમાં સર્જાતી ટ્રાફિકની સમસ્યા નિવારવા નેશનલ હાઇવે વિભાગ દ્વારા દબાણદારોને સ્વૈચ્છિક દબાણો દુર કરવાની તાકીદ કરવામાં આવી છે. અન્યથા આગામી બુધવારથી કામગીરી હાથ ધરવામાં આવશે તેની તમામ જવાબદારી દબાણકર્તાની રહેશે તેવી ચિમકી પણ આપવામાં આવી હતી.
થરાદ શહેરના હાઇવે વિસ્તારમાં કેટલાક સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવારૂપ બનવા પામીછે. તેમાંય માર્કેટયાર્ડથી ઢીમા ત્રણરસ્તા સુધીના નેશનલ હાઇવે આજુબાજુ હાઇવે રોડ પર અનેક દબાણો થયેલ છે. વિવિધ શોપીંગ સેંન્ટરના વેપારીઓ તથા અન્ય ધંધાર્થીઓએ કરેલ દબાણ ટ્રાફીકને નડતરરૂપ બની રહ્યાં છે. વળી સર્વિસ રોડ સારો ન હોઇ રસ્તાની સાઇડ ખાડાટેકરાના કારણે તેનો ઉપયોગ વાહન ચાલકો કરી શકતા નથી. આથી મેઇન રોડનો ટ્રાફીક વધી જાય છે જેનાથી અક્સ્માતનો ભય રહે છે. આથી હાઇવે વિભાગ દ્વારા આ અંગે જાહેર જાણ કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૬૮ પર કરેલ દબાણો દુર કરવા દરેક દબાણકર્તાને સુચના આપી જણાવવામાં આવ્યું હતું કે ભારત સરકારના નેશનલ હાઇવે નંબર ૬૮ રોડમાં થરાદ માર્કેટયાર્ડ થી ઢીમા ત્રણ રસ્તા સુધી તમારા દ્વારા જે દબાણ કરવામાં આવ્યું છે. તેને દુર કરવા વારંવાર મૌખિક સુચના તેમજ અગાઉ નોટીસ આપવામાં આવેલ હતી.તેમ છતાં આજ દિન સુધી આ દબાણ દુર થયેલ નથી. તો આ આખરી ચેતવણી આપી તા.૨૩/૧૨/૨૦૨૦ સુધીમાં સરકારના નેશનલ હાઇવે નંબર-૬૮ (થરાદ માર્કેટયાર્ડ થી ઢીમા ત્રણ રસ્તા સુધી) ના રોડની મધ્યરેખાથી બંને બાજુ (૧૦૦ ફુટ) ના અંતરમાં આપનું કાચું મટેરીયલ કે સામાન મુકી દબાણ કર્યું હોય તો જાતે જ દુર કરવા જણાવવામાં આવે છે. અન્યથા સરકારી કચેરી દ્વારા તા.૨૩/૧૨/૨૦૨૦ ના રોજ આ દબાણ કરનારના ખર્ચે અને જાેખમે દુર કરવા કાર્યવાહી કરવામાં આવશે. અને થનાર નુકશાનની જવાબદારી દબાણકર્તાની રહેશે જેની ખાસ નોંધ લેવા તાકીદ પણ કરવામાં આવી હતી.
Tags Banaskantha Deesa Gujarat india