![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/09/Rakhewal-33.jpg)
થરાદમાં 3 માસૂમને કેનાલમાં નાખી માતા પણ પ્રેમી સાથે કૂદી પડી
થરાદના સણધર સીમમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેરમાં ગઇકાલે ત્રણ બાળક સાથે મહિલાએ ઝંપલાવ્યું હોવાની જાણ કેનાલ પરના લોકોએ થરાદ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરવામાં આવતાં પાલિકા ફાયર ટીમ અને થરાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યારે સ્થળ પરથી મળેલા મોબાઈલ પોલીસે જપ્ત કરી તરવૈયા સુલતાન મીર અને ફાયર ટીમે બે કલાકની ભારે શોધખોળ બાદ બે બાળકના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
ત્યાર બાદ સાંજે 6 વાગે વધુ એક બાળકનો મૃતદેહ થોડે દૂર તરતો મળ્યો હતો. દેથળી ગામની મહિલાના પતિને જાણવા મળ્યું હતું કે વાવ તાલુકાના ધરાધરા ગામના તેની જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર સાથે પ્રેમસંબંધ હતો. તેથી મહિલાના પતિએ થરાદ પોલીસ મથકે ધરાધરા ગામના તેના જ સમાજના દેવાજી રમેશજી ઠાકોર વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી હતી.
ગઈકાલે ત્રણ બાળકના મૃતદેહ મળ્યા બાદ આજે વહેલી સવારે 2 કિમી દૂર જાદલા ગામની કેનાલમાંથી બંને પ્રેમી યુગલોના મૃતદેહ લોખંડના તારથી બાંધેલી હાલતમાં મળ્યા હતા. પાલિકાના તરવૈયાએ મૃતદેહને બહાર કાઢ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.