દાંતીવાડાના નાંદોત્રા ઠાકોર વાસમાં પતિએ પોતાની પ્રેમિકાને પામવા માટે પત્નિની હત્યા કરી
દાંતીવાડાના નાંદોત્રા ઠાકોર વાસમાં નવરાત્રિ દરમિયાન એક એક મહિલાનું અકસ્માતમાં મોત થયું હોવાની પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જોકે, તપાસમાં પતિએ પોતાની પ્રેમિકાને પામવા માટે પત્નિની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે હત્યારા પતિ સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દાંતીવાડા તાલુકાના નાંદોત્રા ઠાકોર વાસના ગોપાળસિંહ વાઘેલાના લગ્ન દસ મહિના અગાઉ વડગામ તાલુકાના અંધારીયાના બાલસિંગ પૃથ્વીરાજસિંહ ડાભીની પુત્રી કીસૂબા જોડે થયા હતા.
જેઓ નવરાત્રિ દરમિયાન ગરબા જોઇને પરત આવી રહ્યા હતા. ત્યારે માર્ગ અકસ્માતમાં કીસુ બાનું મોત નિપજ્યું હોવા અંગે પોલીસ મથકે જાણ કરી હતી. જોકે, તેણીના મોતને લઇ શંકા જતાં પિયર પક્ષ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. જેની ડીસા વિભાગના ડી. વાય.એસ.પી કૌશલ ઓઝા અને દાંતીવાડા પીએસઆઈ એસ.ડી.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી. જેમાં ગોપાળસિંહ વાઘેલાએ જ પત્ની કીસુબાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે.
મૃતક કિશુબાની વિધવા માતાને પુત્રીની સાસુએ કહ્યુ હતુ કે, 4 ઓક્ટોબરની રાત્રે સાડા બાર વાગે દીકરી અને જમાઈ ગરબા જોવા ગયા હતા ત્યારે અકસ્માતમાં દીકરીનું મોત નીપજ્યું છે. જેથી તેઓ પરિવારજનો સાથે નાંદોત્રા ઠાકોર વાસ ગામે ગયા હતા. જ્યાં કિશુબાના મૃતદેહને ઘરમાં કપડું ઢાંકી રાખ્યો હતો જે કપડું પાછું કરી જોતા પોતાની દીકરીના માથાના ભાગે વાગેલું હતું. અને સામાજિક રીત રિવાજ મુજબ અંતિમવિધિ કરી વહેલી સવારે ચાર વાગે અગ્નિસંસ્કાર કરી દીધો હતો.