![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/05/ધાનેરાના-મગરાવા-ગામે-hed.jpg)
ધાનેરાના મગરાવા ગામે છેલ્લા બે મહિનાથી ગ્રામજનો પાણી માટે વલખા
ધાનેરાના મગરાવા ગામે છેલ્લા બે મહિનાથી ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે.ગામમાં પીવા માટેનો વર્ષો જૂનો એક જ બોર આવેલો છે. જેથી આખા ગામને પાણી પૂરું પાડી શકાતું નથી. વહીવટદારના શાસનના કારણે ગામમાં કોઈ વિકાસનું કામ થતું નથી.
ધાનેરા તાલુકાના મગરાવા ગ્રામજનો છેલ્લા બે મહિનાથી પીવાના પાણી માટે રઝળી રહ્યા છે.ગામમાં રહેતા પરિવારોના ઘર સુધી પાણી પહોંચતું નથી. જેના કારણે મહિલાઓને આસપાસના ખેતરોમાં પાણી ભરવા જવું પડે છે. એક તરફ વિકરાળ ગરમી તો બીજી તરફ તંત્રના પાપે પાણીની સમસ્યાને લઇને મગરાવા ગ્રામજનોએ બે હાથ જોડી કરગરી રહ્યા છે.
પરિવાર અને પશુધનને જીવાડવા માટે પાણી આપો. ગરીબ પરિવારોની મહિલાઓ પરિવાર માટે પાણી મેળવવા માટે માથે બેડા ઉપાડી ગરમીમા રઝળી રહી છે. ઉમીબેન માજીરાણાએ જણાવ્યું હતું કે, મગરાવા ગામમાં સૌથી વધારે નીલગાય છે. જે નીલગાય પણ પાણી માટે વલખા મારી રહી છે. પશુધન રાખતા નાના પરિવારો પાણીની સમસ્યાથી અકળાઈ ઉઠ્યા છે. પંચાયત તરફથી બનાવેલ બોરવેલ હવે નક્કામો થઈ ગયો છે. બીજી તરફ પંચાયતમાં વહીવટદારની નિમણુક થઈ છે. જેને લઇ ગામમા સમસ્યાનો દોર દિવસે ને દિવસે વધી રહ્યો છે.