![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2021/03/safe_image-1-2-2-15-2.jpg)
ડીસામાં: ખેડૂતને જાનથી મારી નાંખવાની ધમકી આપી જમીન પર કબજો કર્યો, ઇસમ સામે ફરીયાદ
ડીસા તાલુકાના ગામે ગામના જ ઇસમે ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબજો કર્યાની ફરીયાદ સામે આવી છે. ડીસા તાલુકાના ગામે અગાઉ ખેડૂતે જમીન ખરીદીને પોતાના નામે કરાવી હતી. જે બાદમાં જમીનમાં બટાકાનું વાવેતર કર્યા બાદ 2020ના નવેમ્બર મહિનામાં ગામના જ ઇસમે ખેડૂતને કહેલ કે, તમે આ જમીન ખાલી કરી દો. જેથી ખેડૂતે કહેલ કે, મેં આ જમીન ખરીદી છે અને હવે મારા નામે ચાલે છે. જેથી ઇસમે જાનથી મારી નાંખવાની ધમકી આપી અને ખોટા કેસમાં ફસાવી દેવાનું કહી જમીન પર કબજો કરી લીધો હતો. આ તરફ ફરીયાદી ખેડૂતે કલેક્ટર બનાસકાંઠાને અરજી કર્યા બાદ ઇસમ સામે ડીસા આગથળા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જીલ્લાના ડીસા તાલુકાના વરનોડા ગામના નરસિંહભાઇ ડાહ્યાભાઇ રબારીએ જમીનની ખરીદી કરી હતી. નરસિંહભાઇએ વરનોડા ગામની જમીન સર્વે નં.417 જેનો જુનો સર્વે નં.74 પૈકી 1-પૈકી 2ની જમીન ખરીદી હતી. આ સાથે ખરાબોની જમીન મળી કુલ હે.આરે. 0-76-52 ચો.મી.ખેતીની પિયત જમીન રૂ.4,89,750માં રજીસ્ટર દસ્તાવેજથી તા.10-06-2020માં વેચાણ રાખેલ હતી. જે બાદમાં 20-11-2020ના બપોરે ગામના જ જામાંભાઇ ભેમાભાઇ રબારીએ ખેતરમાં આવી નરસિંહભાઇને જમીન ખાલી કરી દે નહીંતર તને જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.
આ તરફ નરસિંહભાઇએ પોતે જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હોવાનું કહી અને બટાકાનું વાવેતર પણ કર્યુ હોવાનું કહ્યુ હતુ. જેથી ઇસમે ઉશ્કેરાઇ જઇ હવે પછી જમીનમાં પગ મુક્યો તો મારી નાખીશ તેવી ધમકી આપી મારવા દોડતાં નરસિંહભાઇ જીવ બચાવી ત્યાંથી ભાગી ગયા હતા. જે બાદમાં બનાસકાંઠા કલેક્ટરને ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ અધિનિયમ 2020 હેઠળ અરજી કરતાં કલેક્ટરે પત્ર દ્રારા ફરીયાદ નોંધાવવા હુકમ કર્યો હતો.