બનાસકાંઠા જિલ્લામાં મઘા નક્ષત્રમાં પણ વરસાદ ન થતા નહીં થાય ધાન્યના ઢગા
(રખેવાળ ન્યૂઝ)પાલનપુર, બનાસકાંઠા જિલ્લામાં ઓગષ્ટ મહિનો અને મઘા નક્ષત્રમાં પણ વરસાદ ન થતા ખેડૂતોએ ખરીફ પાકો બચાવવાની મથામણ આદરી છે.જ્યારે ચોથા રાઉન્ડના વરસાદ અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, જૂન જુલાઈમાં વરસાદ સારો રહ્યો છે જેથી આગામી દિવસમાં સારો વરસાદ રહેશે તેવું અનુમાન છે. પરંતુ હાલમાં અત્યાર સુધી ઓગસ્ટમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ નથી. જેની આગામી દિવસમાં પણ અસર જોવા મળી શકે છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વખતે પ્રારંભે મેઘરાજાએ બિપરજોય વાવાઝોડા સાથે બઘડાટી બોલાવી હતી.પ્રથમ રાઉન્ડમાં જ ભરપૂર વરસાદથી ખેડૂતોએ કઠોળ,મગફળી,જુવાર, બાજરી,શાકભાજી જેવા પાકોનું વાવેતર કર્યું છે. અને ત્યારબાદ બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ મુશળધાર વરસાદ થતાં વાવેતર ખીલી ઉઠ્યું છે
પરંતુ હવે પાકવાના આરે મેઘરાજા વરસવાનું નામ લેતા નથી.ઓગસ્ટ મહિના સાથે ખેતી પાકો માટે સર્વોત્તમ મઘા નક્ષત્રમાં પણ વરસાદ ન થતા ચિંતામાં ગરકાવ ખેડૂતોએ પાકો બચાવવાની મથામણ આદરી છે. જેમાં પિયતની સગવડ ધરાવતા ખેડૂતોએ બોર દ્વારા પિયત આપવાનું શરૂ કરી દીધું છે પણ આકાશી ખેતી ઉપર ર્નિભર ખેડૂતો આકાશમાં ગોરંભાયેલા વાદળાં નિહાળી નિસાસા નાખે છે.