![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/03/ડીસામાં-અગાઉની-અદાવતમાં-hed.jpg)
ડીસામાં અગાઉની અદાવતમાં રિક્ષાચાલકને ટોળાએ છરીના આડેધડ ઘા માર્યા
લોહીલુહાણ હાલતમાં ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો: ડીસાના રાજપુર વિસ્તારમાં દીન દહાડે રીક્ષાચાલક પર અગાઉની અદાવત રાખી પાંચથી સાત શખ્સોએ છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે ગંભીર રીતે ઇજાગ્રતને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની હાલત વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.ડીસામાં રહેતા જફરભાઈ મહંમદભાઈ કુરેશી રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
જેઓ બાળકોને શાળાઓમાં મૂકી રીક્ષા લઈને પરત તેમના ઘર તરફ જઈ રહ્યા હતા અને રાજપુર પહોંચ્યા તે સમયે બાઈક પર આવેલા 5થી 7 જેટલા શખ્સોએ તેમની રીક્ષાને આંતરીને ઉભી રખાવી હતી. તરત જ છરી જેવા તિક્ષણ હથિયાર વડે તેમના પર જીવલેણ હુમલો કર્યો હતો.હુમલામાં ઝફરભાઈ કુરેશીને હાથ, પેટ અને છાતીના ભાગે ગંભીર ઇજા થતાં તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવતા હુમલાખોરો ત્યાંથી ચાલ્યા ગયા હતા. બનાવની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ વાન તરતજ સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમની હાલત વધુ નાજુક હોવાથી તેમને વધુ સારવાર અર્થે પાલનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો છે.