![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/02/અંબાજી-મંદિરના-મુખ્ય-પ્રવેશ-દ્વાર.jpg)
સુંદર અને પવિત્ર યાત્રાધામનો વહીવટ કેવો : ખુલ્લી ગટરો કચરાના ઢગ અને ગટરની દુર્ગંધ
અંબાજી ગ્રામ પંચાયતના વહીવટદાર અને વોર્ડ મેમ્બરોને અંબાજીના અગ્રણી વ્યક્તિઓ દ્વારા અનેકો વાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ અને આળસ જાણે ઉડતી જ ના હોય તેમ તંત્ર દ્વારા બેદરકારી પૂર્વક વહીવટ ચલાવાઈ રહ્યો છે. ગામના મુખ્ય માર્ગો પર કચરા, ઢાંકણા વગરની ખુલ્લી ગટર લાઇનો અને ચોક અપને લીધે ઉભરાયેલ ગટરોમાંથી વહેતું દુર્ગંધયુક્ત પાણી ગામને મંદિર સુધી જોડતા માર્ગો પર વહેતું હોય છે. તેવામાં યાત્રિકો અને સ્થાનિક રહેવાસીઓ ને પસાર થવું પડે છે. ત્યારે સુંદર અને પવિત્ર યાત્રાધામનો વહીવટ કેવો સુઘડ છે તે બહાર થી અંબાજી આવતા માઈ ભક્તો અને યાત્રિકોની નજરે ચડતા અંબાજી ગામની છાપ લઈને પાછા ફરે છે, તે વિશે ના તો તંત્ર સજાગ છે કે ના રાજ્યમાંથી આવતા સરકારી સત્તાધીશો. ત્યારે ગામ લોકોની સમસ્યાઓની રજૂઆતનો ઉકેલ કરે તો કરે કોણ ?
ગામના દરેક વોર્ડ વિસ્તારમાં સારા રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગટર લાઈન વગેરે જેવી પ્રાથમિક જરૂરિયાતો હોય છે. ત્યારે અંબાજી ગામની હાલત નાના ગામડા કરતા પણ બદતર બની ગઈ છે. આશરે ૨૦ હજાર ઉપરાંતની વસ્તી ધરાવતું અંબાજી ગામને ગ્રામ પંચાયતને બદલે નગરપાલિકાનો વહીવટ મળે તો ગામની સ્થિતિ બદલાઇ શકે તેમ છે. સરકાર દ્વારા અંબાજીના વિકાસ માટે હજારો કરોડના વિકાસ પ્રોજેક્ટ અપાયા છે. તેમ છતાં ગામમાં રોડ, ગટર, સ્વચ્છતા જેવી પાયાની પૂરતી વ્યવસ્થાનો અભાવ જોવા મળી રહ્યો છે. ક્યાંક જે બાબતે યાત્રાધામ વિકાસ બોર્ડ અને સરકાર અંગત રસ લઈને કામગીરી કરે તો ગામની કાયા પલટ થઈ શકે તેમ છે.
સરકાર દ્વારા વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ગામના વિકાસ માટે ફાળવાય છે. ત્યારે સરકારી રૂપિયા વડે શું વિકાસ કામગીરી થઇ રહી છે ? ગામની પ્રત્યક્ષ દશા જોઈને કોઈપણ અંદાજો લગાવી શકે છે. ગામની અંદર આવેલ વોર્ડ વિસ્તારોના રસ્તાઓ, ખુલ્લી ઉભરાતી ગટરો, રસ્તા પર કચરાના ઢગ અને રસ્તે રખડતા ઢોર વિકાસના કાર્યોની ચાડી ખાય છે. ત્યારે સત્તાધીશો દ્વારા વિકાસના નામે આવતા કરોડો રૂપિયા ક્યાં કોણ ચાઉ કરી ગયું તેવા પ્રશ્નો લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.