અબોલ જીવોને બચાવવા પાંજરાપોળ – ગૌશાળા સંચાલકોનું સરકારને આખરી અલ્ટીમેટમ
રખેવાળ ન્યુઝ ડીસા : ડીસા કાંટ પાંજરાપોળ ખાતેની બેઠકમાં પાટણ અને બનાસકાંઠાની વિવિધ ગૌશાળા અને પાંજરાપોળના ૮૦થી વધુ સંચાલકો સોશીયલ ડિસ્ટન્સ જળવાય તે માટે છત્રી રાખી હાજર રહ્યા હતા અને આ બાબતે વિસ્તૃત ચર્ચા કર્યા બાદ તેઓ પાલનપુર પહોંચ્યા હતા અને રામધૂન બોલાવી જીલા કલેકટરને આવેદન પત્ર પાઠવી અબોલ જીવોની વ્યથા સરકાર સુધી પહોંચાડવા માટે આવેદન સ્વરૂપે વિનંતી કરી હતી અને આગામી સમયમાં જો સરકાર દ્વારા સહાય નહિ ચૂકવાય તો હવે આવેદન નહિ આંદોલન થશે તેવો નિર્ણય પણ સર્વાનુમતે લેવામાં આવ્યો હતો.
ડીસા કાંટ પાંજરાપોળ ખાતે મંગળવારે જીલ્લાના તમામ સંચાલકોએ સાશીયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે રીતે છત્રીઓ સાથે એક બેઠક યોજી હતી. હાલમાં ચાલી રહેલ કોરોના મહામારી દરમિયાન સમગ્ર દેશમાં લોકડાઉનના પગલે ધંધા રોજગારને વ્યાપક અસર થઈ છે અને આવી સ્થિતિ નિર્માણ થતા દાતાઓ દ્વારા પાંજરાપોળ ગૌશાળામાં મળતું દાન બંધ થઇ જવા પામ્યું છે જેના કારણે અબોલ જીવોનો નિભાવ કઈ રીતે કરવો ? તે પ્રશ્ન વિકટ બન્યો છે આવા સમયે સરકાર અબોલ જીવોને અપાયેલી સહાય લંબાવી અને બાકી સહાય તાત્કાલિક ધોરણે ચૂકવે તે અત્યન્ત જરૂરી છે. નહિતર લાખો અબોલ જીવો મોતના મુખમાં ધકેલાઈ જશે અને તેના માટે નાછૂટકે સંચાલકો દ્વારા મંગળવારે યોજાયેલ બેઠકમાં અંતિમ નિર્ણય બાબતે ચેતવણી સ્વરૂપે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન છેડાશે અને તમામ જીવોને માર્ગો ઉપર છોડી મુકવામાં આવશે અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે તેવો સુર પણ આજની બેઠકમાં ઉઠવા પામ્યો હતો. બાદમાં આ અવાજ સરકારના બહેરા કાન સુધી પહોંચાડવા માટે ગૌશાળા પાંજરાપોળના સંચાલકોએ પોતાની આ પીડા મીડિયા સમક્ષ ઠાલવી હતી. ગુજરાતની સંવેદનશીલ સરકાર દ્વારા સહાય નહિ ચૂકવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું પણ જણાવાયું હતું. અબોલ જીવો ની આંકડાકીય માહિતી જોતા ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળોમાં હાલમાં ચાર લાખ પશુઓ આશ્રિત છે. જેમાંના કચ્છ અને બનાસકાંઠામાં ત્રણ લાખ જેટલા વધુ પશુઓ છે. ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ આશ્રિત છે તેમાં મોટાભાગના બીમાર તેમજ બિનઉપજાઉં હોવા છતાં પણ આ સંસ્થાઓ જીવદયાનાં હેતુથી પશુઓની સારસંભાળ અને નિભાવ કરતી આવી છે પણ તેનો નિભાવ કરવાનો ખર્ચ દાનની આવકમાંથી ચાલે છે અને આવી સંસ્થાઓ દાતાઓના દાન પર જ નિર્ભર હોય છે પરંતુ હાલ દાનની આવક બંધ હોવા થી સનચાલકો દ્વારા વ્યાજે નાણાં લાવી અબોલ જીવોનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. પાંજરાપોળમાં આશ્રિત એક પશુને એક દિવસ નિભાવવાનો ખર્ચ અંદાજિત રૂ.૪૫ થી ૫૫ નો થતો હોય છે. જોકે હાલમાં લોકડાઉનના પગલે દાતાઓ ઓ તરફથી મળતું દાન બંધ થઈ ચૂક્યું છે તેમજ સરકાર પણ સહાય ન ચૂકવતા મોટાભાગની પાંજરાપોળ અને ગૌશાળાઓ દેવા તળે ડૂબી ચુકી છે ત્યારે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો આવી કપરી સ્થિતિમાં સરકાર સુધી પોતાની પીડા પહોંચાડવા માટે આંદોલન સિવાય બીજો કોઈ જ માર્ગ બાકી ન રહેતા સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં ભરતભાઇ કોઠારી, કાંટ પાંજરાપોળ,જાનકીદાસ મહારાજ,ઢીમા, બાલકૃષ્ણ મહારાજ,થરાદ, જેન્તીભાઈ દોશી, દિયોદર, ચિનુભાઈ શાહ,થરા, કમલેશભાઈ, પાટણ તેમજ અન્ય સંતો અને સંચાલકો હાજર હતા.