પાલનપુરમાં ગેસ ગળતરની ઘટના : 78 અસરગ્રસ્તોને સિવિલમાં ખસેડાયા,તમામની હાલત સ્થિર ; એસ.પી
21 બાળકો સાથે 78 લોકોને અસર: 1 ની હાલત નાજુક
એસિટિલિન ગેસ ગળતરનું પ્રાથમિક અનુમાન : તમામની હાલત સ્થિર:-એસ.પી
ગેસ કટરના ગેસ સિલિન્ડરમાં થી ગેસ લીકેજ થતા દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન: પાલનપુરના માલણ દરવાજા નજીક રાજીવ આવાસ યોજના નજીક ગેસ ગળતરની ઘટના સામે આવી હતી. એક ભંગારીની દુકાનમાં ગેસ કટરની ગેસની બોટલમાંથી ગેસ લીકેજ થતાં સર્જાયેલ ગેસ ગળતરની ઘટનામાં 78 લોકોને અસર થતા તેઓને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં એકની હાલત ગંભીર જણાતા તેને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોવાના અહેવાલ સાંપડયા છે.
પ્રાથમિક વિગતો મુજબ, પાલનપુર ના માલણ દરવાજા પાસે રાજીવ આવાસ નજીક ભંગારી ની દુકાનમાં ગેસની બોટલ લીકેજ થતા ગેસ ગળતરની ઘટના સામે આવી છે. જેમાં 78 જેટલા લોકો ને ગેસ ગળતરની અસર થતા અફરાતફરી મચી ગઇ હતી. ઘટના ને પગલે ફાયર, પોલીસ અને 108 ની ટિમ ઘટના સ્થળે પહોચી થઈ હતી. ત્યારે 21 બાળકો સહિત 78 અસરગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડાયા હતા. જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીની હાલત અતિ નાજુક હોઈ તેને વેન્ટિલેટર પર રખાયો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની ગંભીરતાને પગલે ધારાસભ્ય અનિકેત ઠાકર,જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો, મામલતદાર અને નગરપાલિકાની ટીમ દોડી આવી હતી.
ઝેરી ગેસની અસર: -સિવિલ તંત્ર: પાલનપુર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, માલણ દરવાજા પાસે ભંગારીની દુકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા ગેસ ગળતર થતા શ્વાસોશ્વાસ સહિતની તકલીફ થતા 65 જેટલા દર્દીઓને પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં એકની હાલત નાજુક હોઈ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. જ્યારે બનાસ મેડિકલ કોલેજના ચેરમેન પી.જે.ચૌધરીના જણાવ્યા મુજબ, લોખંડ કાપવાના ગેસ સિલિન્ડરમાંથી ઝેરી ગેસ નીકળ્યો હોવાની આશંકા ડોકટરોએ વ્યક્ત કરી છે. જોકે, પાલનપુર સિવિલ નો તમામ સ્ટાફ ખડેપગે છે અને તમામ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું તેઓએ જણાવ્યું હતું.
એસિટિલિન ગેસ ગળતરનું અનુમાન:-એસ.પી: બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પ્રાથમિક અનુમાન વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માલણ દરવાજા પાસે એસિટિલિન ગેસ ગળતરની ઘટના ઘટી હોવાનું અનુમાન છે. જે ગેસ કટરની બોટલમાંથી ગળતર થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. રંગ અને સુગંધ વગરના એસિટિલિન ગેસની કોઈ પાઇપ લાઈન કે કારખાનું નથી પણ ભંગરના વાડા માં ગેસ ગળતર થયું હોવાનું અનુમાન છે. ત્યારે તમામ 78 અસરગ્રસ્તોની સારવાર અને અન્ય લોકોની વૈકલ્પિક વ્યવસ્થા સાથે અસરગ્રસ્તોની પડખે વહીવટી તંત્ર હોવાનું એસ.પી.એ જણાવ્યું હતું.