થરાદના ઢીમા પુલ પાસે મુખ્ય નહેરના પોલાણને કારણે નગરજનોમાં દહેશતનો માહોલ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ થરાદ  : થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર ઢીમા પુલ નજીક આવેલા મુક્તિધામ બાજુ એક સાઈડ થોડી દબાવા પામી છે. તેને લઇને ખેડુતો અને થરાદના નગરજનોમાં મોટું ગાબડું પડવાની દહેશત પણ ઉઠવા પામી છે. આથી અન્ય કોઇ ગંભીર હોનારત સર્જાય તે પુર્વે નર્મદા વિભાગ દ્વારા તેની મરામત કામગીરી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. બનાસકાંઠાના સરહદી થરાદ તાલુકાની સીમમાંથી નર્મદાની મુખ્ય નહેર પસાર થાય છે. આ નહેર પર ઢીમા પુલ પર આવેલા મુક્તિધામ બાજુની જમણી સાઇડમાં નહેર દબાવા પામી છે. અર્થાત નહેરમાં એક પ્રકારનું પોલાણ (ગાબડું) પડવા પામ્યું છે. આથી આજુબાજુના ખેડુતો અને થરાદના નગરજનોમાં ગભરાટની લાગણી પ્રવર્તી રહી છે.
આ અંગે આજુબાજુના ખેડુતો અને થરાદના જાગૃત નાગરીકોએ જણાવ્યું હતું કે જે જગ્યાએ કેનાલમાં પોલાણ સર્જાવા પામ્યું છે. તે બાજુ થરાદ નગરનો શિવનગર વિસ્તાર આવેલો છે. જેમાં દબાણ સર્જાતા ભવિષ્યમાં મોટું ગાબડું પડવાની દહેશત પણ નકારી શકાય તેમ નથી. અગાઉ આ અંગે નર્મદા વિભાગના જવાબદારોનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. દબાણ ગમે ત્યારે મસ મોટા ગાબડામાં ફેરવાય અને કેનાલનું પાણી કેવી તબાહી મચાવી શકે તેની દહેશતને લઇને પ્રજાજનો ચિંતાની લાગણીમાં મુકવા પામ્યા છે. રખેને ભવિષ્યમાં કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના આ કારણે બને તે પુર્વે નર્મદા વિભાગ દ્વારા ઉદાસિનતા ખંખેરીને તેને યોગ્ય મરામતની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગણી અને લાગણી શિવનગર સહિત થરાદ નગરના પ્રજાજનોમાં ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તંત્ર દ્વારા નહેરને બે કાંઠે વહેવડાવવામાં આવી હતી. ત્યારે પણ પાણી પોલાણની ઉપરથી વહ્યું હતું. જેના કારણે હોનારત સર્જાઇ શકે છે તેમ પણ ચર્ચાસ્પદ બન્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.