![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/04/02.jpg)
ડીસાના જુનાડીસા પાસે ખેતરમાં વીજકરંટ લગાવનાર લોકો સામે કાર્યવાહી કરવા પરિવારની માંગ
બનાસકાંઠા જિલ્લામાં ખેતરમાં ઝાટકા મશીનના વીજકરંટથી વધુ એક કિશોરનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. ડીસાના જુનાડીસા પાસે રમતાં રમતાં 12 વર્ષીય કિશોરનું મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.ડીસા તાલુકાના જુનાડીસાના ઢાળવાસ પાસે રહેતા નલિનભાઈ માળી ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 12 વર્ષીય દીકરો નૈતિક માળી ગઇકાલે સાંજે રમવા માટે ગયો હતો. તે સમયે બાજુના ખેતરની ફરતે ફેનસિંગ તારમાં વીજકરંટ ચાલુ કરેલ હતો. રમતાં રમતાં નૈતિકનો જમણો હાથ તારને અડી જતાં તેને વીજકરંટ લાગ્યો હતો. કરંટ લાગતા જ નૈતિક ઝટકા સાથે જમીન પર પટકાયો હતો અને તેનો જમણો હાથ ગંભીર રીતે દાઝી ગયો હતો. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને તેના પરિવારજનો દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં નૈતિકને 108 એમ્બ્યુલન્સ વાન મારફતે સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યાં નૈતિકનું કરુણ મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના દાદા ગોવિંદભાઈ અને હીરાલાલ પરમારે જણાવ્યું હતું કે, તેમનો ભત્રીજો નૈતિક રમવા માટે ગયો હતો. તે સમયે બાજુમાં ખેતર માલિક હીરાભાઈ પીતાંબરભાઈ સાંખલાએ તેમનું ખેતર રમેશભાઈ નેનુરામ માળીને વાવેતર માટે આપેલું છે. જે રમેશભાઈએ ખેતરની ફરતે તારમાં વીજલાઇનમાંથી વાયર મારફતે સીધો કરંટ મુકેલો હતો અને રમતાં રમતાં નૈતિક આ તારને અડી જતાં તેને કરંટ લાગ્યો હતો અને તેનુ મોત થયું હતું. આ ખેતરમાં અગાઉ વીજકરંટ લાગતા કેટલાય રોઝડા મરી ગયા છે અને હવે તેમનો ભત્રીજો પણ મૃત્યુ પામ્યો છે, ત્યારે વીજકરંટ મુકનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.