વડાવળ પાસે બનાસ નદીમાં ડૂબેલા યુવાનનો ૨૪ કલાક બાદ પણ પત્તો નહી
દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યા બાદ નદીમાં છેલ્લા એક અઠવાડિયામાં ૯થી વધુ વ્યક્તિઓ ડૂબ્યા છે. જેમાં સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામનો વધુ એક યુવક ન્હાવા જતા વહેણમાં ડૂબી ગયો હતો. ડૂબીને લાપત્તા બનેલા આ યુવકની ૨૪કલાક બાદ પણ કોઈ ભાળ મળી નથી. દરમિયાન આજુબાજુ વિસ્તારના સ્થાનિક તરવૈયાઓએ મંગળવારે સવાર થી સાંજ સુધી નાવ લઈ નદીના વહેણમાં ગુમ થયેલા યુવકની શોધખોળ શરૂ કરી છે. ત્યારે સાંજે ૭ વાગ્યા સુધીમાં ડૂબી ગયેલા યુવકનો કોઈ પતો મળ્યો નથી. જેને લઇને તેના પરિવારજનો ચિંતામાં મુકાયા છે. મંગળવારે પણ વડાવળ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં નદીના પટમાં પહોંચ્યા હતા. ડીસાના સ્થાનિક તંત્રના અધિકારીઓ પણ ઘટના સ્થળે ઓટાફેરા મારી માહિતી મેળવી રહ્યા હતા. સોમવારે બપોરે ડીસા તાલુકાના વડાવળ ગામ નો ભાણેજ કુલદીપજી જેણાજી ઝાલા (મકવાણા) નદીમાં નાહવા ગયો હતો. જ્યાં નદીના વહેણમાં ડૂબી જવાની ઘટના બની હતી. આ ઘટનાને ૨૪ કલાક વીતી ગયા બાદ પણ ઘરના ચિરાગનો કોઈ પતો ના લાગતા કુલદીપનો પરિવાર ચિંતાગ્રસ્ત વદને નદીના પટમાં રાહ જાેઈને ઉદાસ બેઠયા હતા.
ઊંડી કોતરો ગોઝારી પુરવાર થતા ૧૨ વ્યક્તિઓનો ભોગ લીધો જિલ્લાની જીવાદોરી બનાસ નદી આમ તો સુકીભઠ છે પણ તેની રેતી બાંધકામ માટે શ્રેષ્ઠ ગણાય છે. તેથી હેવી વાહનો દ્વારા રેતી મહેસાણા જિલ્લા અને છેક રાજસ્થાનમાં ઠલવાય છે. બિન અધિકૃ ત રીતે રાત દિવસ થતી આ રેત તસ્કરીમાં જેસીબી વડે નદીના પટમાં ઊંડી જીવલેણ કોતરો બનાવી દેવામાં આવે છે. જે કોતરો દર વખતે નદી આવતા ગોઝારી પુરવાર થાય છે ત્યારે આ વર્ષે પણ ૧૨ વ્યક્તિઓનો ભોગ લેવાયો છે.