ડીસા તાલુકા સંઘમાં ભ્રષ્ટાચારની તપાસ કરી વહીવટદાર નિમવાની માંગ
ડીસા તાલુકા સંઘની ચૂંટણી આવે તે પહેલા જ રાજકીય જંગમાં હવે કિસાન સંઘ પણ મેદાને આવ્યું છે અને સંઘમાં ન્યાયિક તપાસ કરી ચૂંટણી યોજવાની માગ કરી છે.ડીસાના ખેડૂતોને સમયસર ગુણવત્તા અને વ્યાજબી ભાવે ખાતર બિયારણ મળી રહે તે માટે 40 વર્ષ અગાઉ ઘી તાલુકા ખરીદ વેચાણ સંઘ ડીસાની સ્થાપના કરવામાં આવી હતી. જૅ સંસ્થામાંથી ખેડૂતોને ખાતર બિયારણ સહેલાઈથી મળી રહ્યું હતું. શાખાઓ ખોલી અને ખેડૂતોને નજીકમાં ખાતર મળી રહે તેવી વ્યવસ્થા કરી હતી, પરંતુ થોડાક સમય પહેલા સંસ્થામાં ઘેર વહીવટ થવાના કારણે સ્થાપક કમિટીને હટાવી વહીવટીસમિતિ મુકવામાં આવી હતી, પરંતુ આ વહીવટી સમિતિ વિવાદમાં હાઇકોર્ટે ચૂંટણી યોજવા તંત્રને નિર્દેશક કર્યું હતું. ત્યાર બાદ વહીવટી સમિતિ દ્વારા ચૂંટણીની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. જોકે ચૂંટણી સમયે નવા પેટા કાયદાઓ લાવતા વિવિધ સેવા સહકારી મંડળીઓ વિરોધમાં આવી હતી અને બે દિવસ અગાઉ આવેદનપત્ર આપી વહીવટદારની નિમણૂક કરવાની માંગ કરી હતી.
આજે ભારતીય કિસાન સંઘ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘમાં પ્રમુખ ભગુભાઈ પટેલ એ જણાવ્યું હતું કે, તાલુકા સંઘ દ્વારા વિવિધ મંડળીઓને બે વર્ષથી રાસાયણિક ખાતર આપવામાં આવતું નથી. તેમજ વિવિધ પેટા શાખાઓ બંધ કરેલી છે જેના કારણે ખેડૂતોને કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતર મળતું નથી. લાખણી તાલુકા સંઘનું જે ગોડાઉન હતું જેને નજીવી કિંમતે વેચી મારી સંઘને નુકસાન કરાવેલી છે જેની તપાસ થવી જોઈએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સંઘને બચાવવું હોય તો ખેડૂત વહીવટ કરે બિનખેડૂત વહીવટ કરી શકશે નહીં. જોકે હાલમાં વહીવટ કરતા વહીવટથી ખેડૂતોને કોઈપણ પ્રકારનો ફાયદો થતો નથી. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માગણીને ધ્યાનમાં લઇ જિલ્લા કલેક્ટર મારફતે વહીવટી અધિકારીઓની નિમણૂક કરી ન્યાય તપાસ કરી પછી ચૂંટણી કરવા ખેડૂતોએ માંગ કરી છે.