જુનાડીસામાં ધાર્મિક સ્થળોને જોડતા રસ્તાને નડતર રૂપ વિજ ડીપી હટાવવાની માંગ
ડીસા તાલુકાના જુનાડીસા ગામે આવેલ સિધ્ધાંમ્બિકા મંદિર અને સતરા શહીદની દરગાહે જવા શોર્ટ કટ રસ્તો બનાવાયો છે પણ રસ્તાને નડતર રૂપ વિજ ડીપીને લઈ વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે.
કોમી એકતા માટે વિખ્યાત જુનાડીસા ગામના બે પવિત્ર ધાર્મિક સ્થળોએ જવા માટે તત્કાલીન ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ડેલીગેટ પરબતજી રાઠોડના પ્રયાસોથી શોર્ટ કટ પાકો રસ્તો બન્યો હતો.જે બન્ને ધાર્મિક સ્થળો સહિત ગામમાં જવાનો એકદમ અનુકૂળ રસ્તો છે. જેનો ગામલોકો મહત્તમ ફાયદો ઉઠાવે છે પરંતુ રસ્તાને નડતરરૂપ વિજ ડીપીને લઈ વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વર્તાય છે. જેથી બહારથી આવતા શ્રધ્ધાળુઓ પણ હાલાકી વેઠે છે. જેના કારણે આ વિજ ડીપી હટાવવા વારંવાર જાગૃત ગામલોકો દ્વારા રજૂઆતો કરવામાં આવે છે પણ જવાબદાર તંત્રના પેટનું પાણી હાલતું નથી.ત્યારે આ જોખમી વિજ ડીપી કોઈનો ભોગ લે તે પૂર્વે તંત્ર આળસ ખંખેરી વિજ ડીપી સત્વરે હટાવે તેવી લોક લાગણી પ્રવર્તે છે.